અહિંસા ઍવૉર્ડ
૧૬ નવેમ્બર, ૨૦૨૨ના રોજ બ્રિટનની પાર્લામેન્ટના વિલ્સન હૉલમાં બ્રિટનના મિનિસ્ટર ઑફ ફૅઇથ બેરોનેસ સ્કોટ દ્વારા ડૉ. કુમારપાળ દેસાઈને અહિંસા ઍવૉર્ડ એનાયત થયો. આ સમારંભમાં પાર્લામેન્ટના સભ્ય અને સંસ્થાના ચૅરમૅન શ્રી ગેરથ થોમસ અને ડેપ્યુટી ચૅરમૅન પદ્મશ્રી અને પાર્લામેન્ટના એમ. પી. બોબ બ્લેકમનની સાથે બર્મિંગહામ યુનિવર્સિટીના પ્રોફેસર વિવિધ ફેઈથના અગ્રણીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મિનિસ્ટર બેરોનેસ સ્કોટે કહ્યું કે, અગાઉ નેલ્સન મંડેલા, દલાઈ લામા અને આચાર્ય મહાપ્રજ્ઞ જેવી વ્યક્તિઓને અપાયેલો આ ઍવૉર્ડ વૈશ્વિક સંવેદના અને કમ્પેશન વધારવાનું કામ કરનારા ડૉ. કુમારપાળ દેસાઈને આપતાં આનંદ અનુભવું છું. શ્રી કુમાર શાહે ઍવૉર્ડના સાયટેશનનું પઠન કરતાં કહ્યું કે, પ્રત્યેક ક્ષેત્રમાં માનવીય મૂલ્યોને દૃષ્ટિમાં રાખીને કાર્ય કરનારની બહુમુખી પ્રતિભાને અમે આજે વધાવીએ છીએ. સાહિત્ય, શિક્ષણ, પત્રકારત્વ, ફિલૉસૉફી અને એન્સાયક્લોપીડિયાના કાર્ય દ્વારા એમણે મેળવેલી યશસ્વી સિદ્ધિ યાદગાર બની રહી છે.
સર્જન, વિવેચન, સંશોધન, સંપાદન, અનુવાદ, અધ્યયન-અધ્યાપન વગેરે અનેકવિધ પ્રવૃત્તિઓ કરતા હોવા છતાં કુમારપાળ તરુણના તરવરાટથી સામાજિક સાંસ્કૃતિક ઉત્થાનના નવા નવા પ્રકલ્પો કરવા હંમેશાં તત્પર રહે છે.
‘ઊંઘ તો પૂરી લેવાની, ઉજાગરા કરવાનું નથી શીખ્યો. હા, દિવસ ઊગે પછી એકધારું કામ ચાલે.’ – હસતાં હસતાં તેઓ કહે છે.
‘પુન: જન્મ લેવાનું થાય તો તમે શું બનવાનું પસંદ કરો ?’ એવા એક પ્રશ્નના ઉત્તરમાં તેમણે કહેલું : ‘સમાજને ઉપયોગી એવું મૂલ્યનિષ્ઠ સાહિત્ય રચી શકું, આધ્યાત્મિક જીવન જીવી શકું, ગ્રંથોના રહસ્ય પર ચિંતન કરી શકું તથા ધર્મની સાચી વિભાવના પહોંચાડી શકું તેવો માનવદેહ ફરી મળે એવી ઈશ્વરને મારી પ્રાર્થના રહી છે.’ અનેક ઍવૉર્ડો, ચંદ્રકો, પુરસ્કારો પ્રાપ્ત કરવા છતાં કુમારપાળ દેસાઈને અભિમાન સ્પર્શી શક્યું નથી. ચહેરા પર હંમેશાં સ્નેહાળ સ્મિત અને નાનામાં નાના માણસ સાથે પણ પ્રેમપૂર્વક ઉષ્માપૂર્ણ વ્યવહાર તેમના પ્રસન્ન વ્યક્તિત્વનો અને સાર્થ જીવનશૈલીનો મર્મ પ્રગટ કરે છે.