ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનૉલોજી
૧૯૯૭થી IOJમાં અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કલા, ધર્મદર્શન અને શિક્ષણનું કાર્ય કરતી ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલૉજીનો એમના નેતૃત્વ હેઠળ ભારતમાં પ્રારંભ કરવામાં આવ્યો. એના મૅનેજિંગ ટ્રસ્ટી તરીકે વિદેશની લાઇબ્રેરીમાં આવેલ હસ્તપ્રતના કૅટલૉગનું મહત્ત્વનું કાર્ય કર્યું. વળી હસ્તપ્રતવિદ્યાના અભ્યાસીઓ તૈયાર થાય તે માટે ત્રણ દિવસનો હસ્તપ્રતવિદ્યાનો સેમિનાર કર્યો. એ પછી ગુજરાત યુનિવર્સિટી માન્ય છ મહિનાનો સર્ટિફિકેટ કોર્સ પણ દર મહિને ત્રણ વખત યોજાયો. અવારનવાર પરિસંવાદનું આયોજન કરીને જૈનદર્શનના વિદ્વાનોને નિમંત્રવામાં આવે છે. પુસ્તક પ્રકાશનની પ્રવૃત્તિ તથા માનવકલ્યાણલક્ષી પ્રવૃત્તિ પણ કરવામાં આવે છે. આ બધાં કાર્ય કુમારપાળ દેસાઈની ધગશ, સતત પરિશ્રમના પરિણામે શક્ય બન્યાં છે. તેમના માર્ગદર્શન હેઠળ અત્યારે નિયમિત વ્યાખ્યાન ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલૉજીના યૂ-ટ્યૂબ ઉપરથી પ્રસારિત થાય છે.
૧૮૯૩ના શિકાગોની ‘વર્લ્ડ પાર્લમેન્ટ ઑવ રિલિજિયન્સ’માં વક્તવ્ય આપનારા અને અમેરિકા-ઇંગ્લૅન્ડમાં અનેક પ્રવચનો આપનારા વીરચંદ રાઘવજી ગાંધી વિશેના ગ્રંથો અન્ય સંસ્થાઓના સહયોગથી પ્રકાશિત થયા. ‘Yoga Philosophy’, ‘Jain Philosophy’ અને ‘Unknown lif of Jesus Christ’ વગેરે પુસ્તકોનું સંપાદન કુમારપાળ દેસાઈએ કર્યું. વીરચંદ રાઘવજી ગાંધીના સમગ્ર જીવનકાર્યને દર્શાવતું પુસ્તક ‘ભારતીય સંસ્કૃતિનો આત્મા’ નામનું પુસ્તક લખ્યું. વીરચંદ રાઘવજી ગાંધીની જન્મજયંતીના દિવસે ગૂજરાત વિદ્યાપીઠમાં રાષ્ટ્રીય સેમિનારનું આયોજન પણ થયું. ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનૉલૉજી દ્વારા અમદાવાદના નવરંગપુરા છ રસ્તા પર શ્રી વીરચંદ રાઘવજી ગાંધી ચોકનું નામાભિધાન કર્યું અને શિકાગો તેમજ વીરચંદ ગાંધીના જન્મસ્થળ મહુવામાં મુકાયેલી વીરચંદ ગાંધીની અર્ધપ્રતિમાનું નિર્માણ કરવામાં સક્રિય સહયોગ આપ્યો.
ડૉ. કુમારપાળ દેસાઈએ એક નવતર પ્રયોગ રૂપે વિવિધ વિષયો પર ત્રિદિવસીય કથા પ્રસ્તુત કરી છે. તેમણે મહાવીરકથા, ગૌતમકથા, પાર્શ્વ-પદ્માવતીકથા, નેમરાજુલકથા, વૃષભકથા, કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યકથા, શ્રીમદ્ રાજચંદ્રકથા, આ. બુદ્ધિસાગરસૂરિજીકથા, આચાર્ય હીરવિજયસૂરિકથા વગેરે વિષયો પરની કથાઓ મુંબઈ, અમદાવાદ, ધરમપુર, લંડન, લોસ એન્જલિસ જેવા શહેરોમાં કથાત્મક રીતે ચિંતનસભર રજૂઆત કરી છે.