ઈંટ અને ઇમારત

ઈંટ અને ઇમારત

ઈ.સ. ૧૯૬૯ની ૨૪મી ડિસેમ્બરે ‘જયભિખ્ખુ’નું અવસાન થયું ત્યારે કુમારપાળ ૨૭ વર્ષના હતા. પરિવારની સ્થિતિ સામાન્ય હતી. પિતાના ઉદાર, સ્વમાની અને ખમીરવંતા સ્વભાવને કારણે એમના અવસાન સમયે ઘરમાં કોઈ ઝાઝી મૂડી નહોતી. માત્ર પુસ્તકોમાંથી કેટલીક ચલણી નોટો મળી, તેની કુલ રકમ ૩૫૦ રૂપિયા થઈ. આથી વિનોદમાં એમ પણ કહેવાતું કે ત્રણસો પુસ્તકના લેખક પાસે મૂડી રૂપે માત્ર સાડા ત્રણસો રૂપિયા હતા. એ વખતે ‘જયભિખ્ખુ’ ‘ગુજરાત સમાચાર’માં ‘ઈંટ અને ઇમારત’ કૉલમ લખતા. તેમણે ૧૯૫૨થી આ કૉલમ લખવી શરૂ કરેલી અને ખૂબ લોકપ્રિય હતી. અખબારના તંત્રીએ કુમારપાળને બોલાવી એમના પિતાની આ કૉલમ ચાલુ રાખવા સૂચવ્યું. પહેલાં તો કુમારપાળ ખચકાયા, પણ તંત્રીએ બહુ આગ્રહ કરતાં તેઓ સંકોચ સાથે તૈયાર થયા. શરૂઆતના ચાર-પાંચ હપતા નામ વગર આપ્યા. એને આવકાર મળ્યો. પછી તંત્રી શ્રી શાંતિલાલ શાહે નામ મૂકી કૉલમ પ્રગટ કરી. ત્યારથી આજ સુધી તેઓ નિયમિત એ કૉલમ લખતા રહ્યા છે. પિતા-પુત્ર દ્વારા છેલ્લાં ૬૭ વર્ષથી પણ વધુ સમય નિયમિત રીતે એક કૉલમ લખાઈ હોય એવો ગુજરાતી પત્રકારત્વક્ષેત્રમાં બીજો કોઈ દાખલો જોવા નહીં મળે. વળી એક જ અખબારમાં પ્રત્યેક ગુરુવારે એડિટોરિયલ પેજ પર એક જ સ્થાને આ કૉલમ પ્રગટ થઈ રહી છે. ‘ગુજરાત સમાચાર’માં તેઓ ઉપર્યુક્ત કૉલમ ઉપરાંત ‘આકાશની ઓળખ’, ‘ઝાકળ બન્યું મોતી’, ‘જાણ્યું છતાં અજાણ્યું’, ‘પારિજાતનો પરિસંવાદ’ જેવી અનેક કૉલમો નિયમિત લખે છે. અત્યારે ‘ગુજરાત સમાચાર’માં સૌથી વધુ કૉલમો લખનાર તેઓ એકમાત્ર પત્રકાર છે. ‘દિવ્યધ્વનિ’માં દર મહિને ‘પરમનો સ્પર્શ’ નામે આધ્યાત્મિક ચિંતનની લેખમાળા આલેખે છે.

ગુજરાત યુનિવર્સિટીના પત્રકારત્વ-વિભાગમાં તેઓએ વર્ષો સુધી સેવા આપી છે. આ ઉપરાંત ગુજરાતની અન્ય યુનિવર્સિટીઓમાં પણ તેઓ પત્રકારત્વના અભ્યાસક્રમ સાથે સંકળાયેલા છે. ‘અખબારી લેખન’ વિશે તેમણે એક પુસ્તક લખ્યું છે તથા ‘સાહિત્ય અને પત્રકારત્વ’ નામક ગ્રંથનું સંપાદન કર્યું છે. પત્રકારત્વક્ષેત્રે બહુવિધ કામગીરી બજાવવા માટે તેમને ‘નવચેતન’ માસિક દ્વારા નવચેતન રૌપ્યચંદ્રક, પત્રકારત્વમાં વિશિષ્ટ પ્રદાન માટે શ્રી યજ્ઞેશ હ. શુક્લ પારિતોષિક, પત્રકારત્વમાં ઉત્તમ પ્રદાન માટે રાષ્ટ્ર કક્ષાએ અપાતો આચાર્ય તુલસી અનેકાંત ઍવૉર્ડ એનાયત થયો છે. સ્પૉર્ટ્સ વિશે પત્રકારત્વમાં મહત્ત્વનું પ્રદાન કરવા માટે નાનુભાઈ સુરતી ફાઉન્ડેશન દ્વારા સંસ્કૃતિ ગૌરવ પુરસ્કાર, ગુજરાત દૈનિક અખબાર સંઘ દ્વારા પત્રકારત્વમાં સત્ત્વશીલ લેખન માટે હરિૐ આશ્રમ ઍવૉર્ડ તેમજ શિષ્ટ, સાત્ત્વિક અને મૂલ્યલક્ષી લેખન માટે શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર તરફથી સંસ્કૃતિ સંવર્ધન ઍવૉર્ડ એનાયત થયાં છે.

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑