રમત સમીક્ષક તરીકે
રમતગમતક્ષેત્રે પણ કુમારપાળ દેસાઈનું પ્રદાન ઉલ્લેખનીય છે. ગુજરાતી, હિંદી, અંગ્રેજી અને મરાઠીમાં પ્રગટ થયેલા ‘ભારતીય ક્રિકેટ’ અને ‘ક્રિકેટના વિશ્વવિક્રમો’ તેમજ ‘ક્રિકેટ રમતાં શીખો’ ભાગ ૧-૨ની દોઢ લાખ નકલો રમતપ્રેમીઓએ ખરીદી હતી. ઇંગ્લૅન્ડની પ્રસિદ્ધ ‘ક્રિકેટર મૅગેઝિન ક્લબ’નું માનાર્હ સભ્યપદ તેમને સાંપડ્યું હતું. તેમના એક પુસ્તકને ‘ધ ક્રિકેટર ઇન્ટરનેશનલ સામયિક’ દ્વારા આયોજિત જ્યૂબિલી લિટરરી ઍવૉર્ડ માટેની સ્પર્ધામાં સ્થાન સાંપડ્યું હતું. ૧૯૬૨થી અખબાર, રેડિયો અને ટેલિવિઝન પરની તેમની વિગતખચિત પ્રમાણભૂત રમતગમતની સમીક્ષાએ ખૂબ લોકચાહના પ્રાપ્ત કરી હતી. તેમણે વિવિધ ક્લબો અને સંસ્થાઓમાં રમતગમત વિશે ૩૦૦થી વધુ વક્તવ્યો આપ્યાં છે. ૨૦૦૪ના જાન્યુઆરી મહિનામાં સૂરત શહેર પત્રકાર કલ્યાણ નિધિ દ્વારા ‘બેસ્ટ સ્પૉર્ટ્સ જર્નાલિસ્ટનો ઍવૉર્ડ’ એનાયત થયો છે. આ પ્રસંગે ઍવૉર્ડ અર્પણ કરતી વખતે ભૂતપૂર્વ ક્રિકેટર અંશુમાન ગાયકવાડે જણાવ્યું કે તેઓ છેક બાર વર્ષની વયથી ડૉ. કુમારપાળ દેસાઈના રમતગમતવિષયક લેખો વાંચતા રહ્યા છે અને તેમનું સન્માન કરવાની તકને શ્રી અંશુમાન ગાયકવાડે જીવનની એક યાદગાર ક્ષણ તરીકે ઓળખાવી હતી.