વિવિધ સન્માનો
ઈ. સ. ૧૯૮૪થી પ્રતિવર્ષ પરદેશમાં કુમારપાળ દેસાઈનાં વ્યાખ્યાનો યોજાય છે. આ ક્ષેત્રની તેમની પ્રવૃત્તિના અભિવાદન રૂપે ઇંગ્લૅન્ડમાં ૧૪ ભારતીય સંસ્થાઓએ મળીને તેમને ‘હેમચંદ્રાચાર્ય ઍવૉર્ડ’ આપ્યો હતો. આ ઉપરાંત તેમને ઉત્તર કૅલિફૉર્નિયાના જૈન સેન્ટર દ્વારા ગૌરવ પુરસ્કાર, જૈન જ્યોતિર્ધર ઍવૉર્ડ, ગુજરાત રત્ન ઍવૉર્ડ તથા ૧૯૮૦માં જુનિયર ચેમ્બર્સ તરફથી ભારતની દસ યુવાન પ્રતિભા અંગેનો ઍવૉર્ડ (Ten Outstanding Personality of India) પણ એનાયત થયો હતો. અમેરિકા અને કૅનેડાનાં તમામ કેન્દ્રોને આવરી લેતા ફેડરેશન ઑફ જૈન ઍસોસિયેશન ઑવ નૉર્થ અમેરિકા (જૈના) દ્વારા અમેરિકા સિવાયના અન્ય દેશોમાં જૈન સાહિત્યના સંશોધન અને દર્શન અંગે અગત્યની કામગીરી કરનારને અપાતો પ્રેસિડેન્ટ સ્પેશિયલ ઍવૉર્ડ કૅનેડાના ટોરન્ટોમાં ૧૯૯૭ના જુલાઈમાં યોજાયેલા દ્વિવાર્ષિક અધિવેશનમાં કુમારપાળ દેસાઈને એનાયત થયો હતો.
મૂલ્યનિષ્ઠ સાહિત્યસર્જન માટે દિલ્હીની અહિંસા ઇન્ટરનેશનલ સંસ્થાએ તથા દિવાળીબહેન મોહનલાલ મહેતા ટ્રસ્ટે વિશિષ્ટ ઍવૉર્ડ એનાયત કર્યો છે. ઈ. સ. ૨૦૦૧માં ભગવાન મહાવીર જન્મકલ્યાણક સમિતિ તરફથી જૈનદર્શન અને જૈનભાવનાઓમાં પ્રસાર માટે ઉત્તમ યોગદાન કરનાર ૨૬ વ્યક્તિઓને વડાપ્રધાન શ્રી અટલબિહારી વાજપેયીના હસ્તે અપાયેલા ‘જૈનરત્ન ઍવૉર્ડ’ માટે પણ તેમની પસંદગી થઈ હતી. કુમારપાળ દેસાઈને મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી સાહિત્યકારને અપાતું કવિ નર્મદ પારિતોષિક ૨૦૧૪માં એનાયત થયું હતું.
ગુજરાત સરકાર રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્ત વિભાગ અંતર્ગત ૨૦૧૧નો સાહિત્ય ગૌરવ પુરસ્કાર તેમને એનાયત થયો છે. વિશ્વ ગુજરાતી સમાજ દ્વારા અપાતો કાનજીભાઈ દેસાઈ ગુજરાત પ્રતિભા ઍવૉર્ડ કુમારપાળ દેસાઈને ૨૦૧૫માં તત્કાલીન મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે એનાયત થયો છે.