સંશોધક
કુમારપાળ દેસાઈએ પીએચ.ડી.ના સંશોધન નિમિત્તે મધ્યકાળના મરમી સંતકવિ આનંદઘનના જીવન અને કવન વિશે ઊંડાણથી અભ્યાસ કરી, તેમનાં પદો અને સ્તવનોની હસ્તપ્રતોનું સંશોધન કરી તેમના કવિત્વને પ્રકાશમાં આણ્યું છે. તેમણે ગુજરાતના જુદા જુદા હસ્તપ્રતભંડારોમાંથી ૪૦૦ જેટલી હસ્તપ્રતોનો અભ્યાસ કરી તેના આધારે શાસ્ત્રીય સંપાદન કર્યું છે. પં. બેચરદાસ દોશી, ડૉ. ભોગીલાલ સાંડેસરા અને પં. દલસુખભાઈ માલવણિયા જેવા વિદ્વાનોએ એમના સંશોધનકાર્યની પ્રશંસા કરી છે. મધ્યકાલીન સાહિત્યના સંશોધનક્ષેત્રે ડૉ. કુમારપાળ દેસાઈએ નોંધપાત્ર પ્રદાન કર્યું છે. તેમણે સંશોધન કરી ‘અપ્રગટ મધ્યકાલીન કૃતિઓ’, ‘જ્ઞાનવિમલસૂરિકૃત સ્તબક’ અને ‘મેરુસુંદર ઉપાધ્યાયરચિત અજિતશાંતિસ્તવનનો બાલાવબોધ’ જેવાં પુસ્તકો પ્રગટ કર્યાં છે. ‘ગત સૈકાની જૈન ધર્મની પ્રવૃત્તિઓ’, ‘અબ હમ અમર ભયે’ અને ‘અબોલની આતમવાણી’ તેમનાં સંશોધનમૂલક પુસ્તકો છે. રાજસ્થાનના લોકસંસ્કૃતિ શોધ સંસ્થાન તરફથી આનંદઘન વિશેના ઉત્કૃષ્ટ સંશોધન માટે તેમને ‘હનુમાનપ્રસાદ પોદ્દાર’ પારિતોષિક મળ્યું હતું. ગુજરાત યુનિવર્સિટીની વિનયન વિદ્યાશાખામાં ૧૯૮૦ અને ૧૯૮૫માં સંશોધન અંગેનાં ઉત્કૃષ્ટ કાર્ય કરવા માટે તેમને ડૉ. કે. જી. નાયક ચંદ્રક એનાયત થયો હતો. આ ઉપરાંત તેમણે ગુજરાતી, હિંદી અને અંગ્રેજી ભાષામાં ‘તીર્થંકર ભગવાન મહાવીર’ વિશે ગ્રંથરચના કરી છે.