આ યુગમાં આવું પણ બની શકે છે !

કોઈ ગયા જમાનાની નહીં, પરંતુ આજના યુગના મહાઆશ્ચર્યની વાત ક૨વી છે. આજથી દોઢસો વર્ષ પૂર્વે વિ. સં. 1930માં ઉત્તર ગુજરાતની ધન્ય નગરી વિજાપુરમાં જેમનો જન્મ થયો અને એકસો વર્ષ પૂર્વે વિ. સં. 1981માં એ જ વતન વિજાપુરમાં જેમણે વિદાય લીધી એવા યોગનિષ્ઠ આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજીનું જીવન સ્વયં એક આશ્ચર્ય છે.

પહેલું આશ્ચર્ય એ કે બાળપણમાં સરસ્વતી માતાની છબી આગળ જ્ઞાનપ્રાપ્તિ માટે પ્રાર્થના કરનાર વિજાપુરના આ કણબી પટેલ વિદ્યાર્થી બહેચરદાસને માત્ર છ ધોરણ સુધી અભ્યાસ ક૨વા મળ્યો. એ બહેચરદાસમાંથી સત્યાવીસમા વર્ષે દીક્ષા લઈને મુનિશ્રી બુદ્ધિસાગરજી બન્યા. એ પછી એમની સર્જનયાત્રાનો પ્રારંભ થયો. માત્ર ચોવીસ વર્ષમાં એમણે એકસો ચાલીસથી વધુ ગ્રંથો લખ્યા. એમની પાસે ગ્રંથવાચનની સ્વામી વિવેકાનંદ જેવી અદ્ભુત યૌગિક શક્તિ હતી. રોજ પાંચસો પૃષ્ઠ વાંચી શકતા અને એ ગણતરીએ એમના જીવનમાં જુદા જુદા ગ્રંથોનાં આઠ લાખ અને ઓગણીસ હજાર પૃષ્ઠો વાંચ્યાં હતાં. છે ને આ યુગનું આશ્ચર્ય !

એમના ચોવીસ વર્ષના સાધુજીવનના 8,760 દિવસમાં એકસો વખત ‘આગમસાર’, ત્રણ વખત ‘શ્રી આચારાંગ સૂત્ર’, આઠ વખત ‘શ્રીમદ્ ભગવદ્ગીતા’ એમ અનેક ગ્રંથોનું પુનઃ પુનઃ વાંચન કર્યું. બાળપણમાં તેઓ કદી કાગળ પર પગ મૂકતા નહીં. નાની વયે પણ એ બધાના સોગન ખાય, પણ સરસ્વતી માતાના ન ખાય. 140 જેટલા ગ્રંથો લખ્યા, પણ જીવનમાં ટેબલ કે ઢાળિયાનો ક્યારેય ઉપયોગ કર્યો નથી ! પોતાના ઘૂંટણ પર ડાયરી મૂકીને કોઈ અવાવરું ભોંયરામાં બેસીને લેખનકાર્ય કરતા. જીવનના અંતિમ દિવસમાં ગ્રંથ પૂર્ણ કરવાની ઇચ્છા હતી. બન્યું એવું કે પ્રૂફરીડરની માતા બીમાર પડી હતી. તેથી કામ અટકે તેમ હતું તો તેમણે એમનો તાવ પોતે લઈ લીધો હતો, એવી ઘટનાની ગવાહી મળે છે.

વિ. સં. 1971ના ભાદરવા વદિ એકમના દિવસે ‘અહીં ઝટ મેઘ વરસાવો’ નામે પ્રભુની પ્રાર્થના કરતા કાવ્યની રચના કરી અને થોડા જ સમયમાં દુષ્કાળ નિવારક વર્ષા થઈ હતી. તો એવી જ રીતે એમણે ‘કબૂતર’ વિશે કાવ્ય લખ્યું હતું અને એમની ડાયરી પર આવીને કબૂતર બેસી ગયું ! આ ઘટનાની નોંધ એમની અંગત રોશનીશીમાં મળે છે.

સામાન્ય રીતે સહુ કોઈ એક ‘શ્રીમદ્ ભગવદ્ગીતા’થી પરિચિત હોય, તો યોગનિષ્ઠ આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરિજીએ ‘આત્મદર્શનગીતા’, ‘પ્રેમગીતા’, ‘ગુરુગીતા’, ‘જૈનગીતા’, ‘કૃષ્ણગીતા’, ‘અધ્યાત્મગીતા’ અને ‘મહાવીરગીતા’ એમ સાત ગીતાઓનું સર્જન કર્યું. ગુજરાતી છ ધોરણનો અભ્યાસ હતો. ગુજરાતીમાં તો ઠીક, બલ્કે સંસ્કૃત અને હિન્દીમાં પણ સાહિત્યસર્જન કર્યું. એમાં પચીસ ગ્રંથો તો તત્ત્વજ્ઞાન અને અધ્યાત્મજ્ઞાનથી ભરપૂર છે. બાવીસ ગ્રંથોમાં ધર્મ અને નીતિનો બોધ સચવાયો છે, તો સંસ્કૃત ભાષામાં પણ બાવીસ જેટલા ગ્રંથોની રચના કરી છે અને ચોવીસ ગ્રંથોમાં એમનું કાવ્યસર્જન વહે છે.

વિચાર કરો કે કશીય કાવ્યરચનાની તાલીમ લીધી નહોતી, તેમ છતાં પંદરમા વર્ષે બાળક બહેચરદાસે દોહા, ચોપાઈ, છંદ અને સવૈયામાં પ્રારંભિક કવિતાઓ લખી અને એ પછી એમની નિસર્ગદત્ત પ્રતિભા એવી ખીલી કે જેને પરિણામે ભજન, ઊર્મિગીત, રાષ્ટ્રગીત, અવળવાણી, ખંડકાવ્ય, કાફી, ચાબખા, ગહુલી, કવ્વાલી, ગઝલ જેવા અનેક કાવ્યપ્રકારોમાં એમની કલમ વિહરે છે. એમના જીવનકાળ દરમિયાન એમણે ત્રણ હજારથી વધુ કાવ્યોનું સર્જન કર્યું. એમની ભજનો અને સ્તવનોની પુસ્તિકાની સોળ-સોળ આવૃત્તિ થઈ હતી. સાબરમતી નદી વિશે સૌથી વધારે કાવ્યો લખનાર આચાર્ય બુદ્ધિસાગરસૂરિજી છે. એમણે ચારસો જેટલાં કાવ્યો લખ્યાં હતાં. એમાંથી 107 કાવ્યોનું 200 પૃષ્ઠનું પુસ્તક ‘સાબરમતી ગુણ શિક્ષણ કાવ્ય’ પ્રકાશિત કર્યું. આથી તો સાબરમતી રિવરફ્રન્ટ પર એમની યૌગિક મુદ્રા ધરાવતી પ્રતિમા મુકાવવી જોઈએ.

એ જ રીતે પોતાના વતન વિજાપુર ગામ પ્રત્યે એમને અખૂટ ચાહના હતી. જે ધરતી પર જન્મ લીધો અને ખેલ્યા, જ્યાં કેળવણી પ્રાપ્ત કરી અને જ્યાં આત્મોન્નતિનો માર્ગ મળ્યો, એ વિજાપુરનો ઘણો મોટો ઉપકાર તેઓ માનતા હતા.

મહત્ત્વની બાબત એ છે કે વિજાપુર વિશે યોગનિષ્ઠ આચાર્યશ્રીએ પહેલાં એક પુસ્તિકા લખી હતી અને એ પછી વિજાપુરનો એક બૃહદ્ વૃત્તાંત ગ્રંથ લખ્યો હતો. ભાગ્યે જ કોઈ નગરનો આવો ઇતિહાસ અને પોતાની જન્મભૂમિ માટેના આવા પ્રેમનું પ્રાગટ્ય જોવા મળે. યોગનિષ્ઠ આચાર્યશ્રી વિજાપુર ગામમાં જન્મ્યા હતા તો એ સમયે એ ગામ વડોદરાના રાજવી સયાજીરાવ ગાયકવાડના રાજ્યમાં એટલે કે ગાયકવાડી રાજ્યમાં સમાવેશ પામતું હતું. યોગનિષ્ઠ આચાર્યશ્રીએ વડોદરાના રાજમહેલમાં શ્રી સયાજીરાવ ગાયકવાડના લક્ષ્મીવિલાસ રાજમહાલયમાં ‘આત્મોન્નતિ’ વિષય પર પ્રવચન આપ્યું અને ‘આત્મા શું છે ?’ એ સમજાવીને આત્માની ઉન્નતિ વિશે રસભરી ચર્ચા કરી.

મહારાજા સયાજીરાવને દેશ-વિદેશના પ્રસિદ્ધ વક્તાઓ અને વિદ્વાનોનો ગાઢ પરિચય હતો, પરંતુ એમને આ વ્યાખ્યાન તેઓને એવું અદ્ભુત લાગ્યું કે વ્યાખ્યાન પૂરું થતા મહારાજા સયાજીરાવ બોલી ઊઠ્યા, ‘ઓહ ! જો આવા વધુ સંતો ભારતમાં હોય તો દેશોદ્ધાર ઘણો નજીક આવે.’ તેઓએ વડોદરા રાજ્યમાં પાઠ્યપુસ્તક તરીકે શ્રીમદ્ બુદ્ધિસાગરજીનું સાહિત્ય ભણાવવાના હુકમો કર્યા હતા. વિજયાદશમીના દિવસે થતી પાડાના વધની કુળપરંપરા શ્રીમદ્જીના ઉપદેશથી બંધ કરાવી. યોગનિષ્ઠ આચાર્યશ્રીએ માણસા, પેથાપુર, વ૨સોડા, ઈડર વગેરેનાં રાજવીઓને માંસાહાર, દારૂ અને જુગાર જેવાં વ્યસન છોડાવ્યાં. અહિંસા, અસહકાર, ખાદી અને સ્વદેશી વ્રતમાં ઊંડો રસ લીધો અને એથીયે વિશેષ દલિત વર્ગ અભ્યાસ કરી શકે તે માટે નિશાળોની સ્થાપના કરી.

સામાન્ય રીતે મુનિઓ ઉપાશ્રયમાં વ્યાખ્યાન કરે, ત્યારે શ્રીમદ્ બુદ્ધિસાગરજી જાહેર ચોકમાં વ્યાખ્યાન કરતા અને ભગવાન મહાવીરનો અહિંસાનો સંદેશો જન-જન સુધી પહોંચાડવા પ્રયત્ન કર્યો. શાળાઓ, કૉલેજો અને ખુલ્લાં મેદાનોમાં પ્રવચન કર્યું. જૈન બાળકો માટે ગુરુકુળો કેવાં હોવાં જોઈએ એની સહુથી પહેલાં વાત કરનાર શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી. જૈન યુનિવર્સિટીની કલ્પના આપનાર પણ યોગનિષ્ઠ આચાર્યશ્રી બુદ્ધિસાગરજી હતા.

યોગનું ઉત્તુંગ શિખર એટલે યોગનિષ્ઠ આચાર્યશ્રી બુદ્ધિસાગરજી. ભાગ્યે જ એકલ-દોકલ માનવી જ્યાં ફરકવાની હિંમત કરે એવા સાબરમતીનાં વાંઘાઓ અને કોતરોમાં તેઓ નિર્ભયતાથી ઘૂમતા હતા અને ગુફા જેવી કોઈ જગા મળે, તો ત્યાં જાપ જપવા બેસી જતા હતા. ક્યાંક પદ્માસન લગાવીને ધ્યાનમાં બેસી જાય અને ચાર-ચાર દિવસ સુધી આવા સ્થળે અખંડ સમાધિ લઈને બેસી રહે. કોઈ વગડામાં જિનમંદિર મળે કે સાબરમતી નદીના કિનારે રેતનો બેટડો હોય, ત્યાં અપૂર્વ સમાધિમાં ડૂબી જતા. કોઈ કોઈ વાર આ સમાધિ ત્રણ-ત્રણ દિવસ ચાલે અને રાત્રિના સમયે હઠયોગની સમાધિમાં મગ્ન થઈ જતા હતા.

મહુડીમાં ત્રણ દિવસ પદ્માસન લગાવી અંગોનું હલનચલન કર્યા વિના નિશ્ચેષ્ટ ધ્યાનમાં રહ્યા અને એમાંથી શ્રી ઘંટાકર્ણ મહાવીરનાં સાક્ષાત્ દર્શન થયાં અને એની એમણે મૂર્તિ બનાવડાવી. એની પાછળ મનથી ગુલામ, હૃદયથી વહેમી અને સ્વભાવથી ભીરુ બની ગયેલી પ્રજામાં પ્રચંડ આત્મવિશ્વાસ જગાડવાનો હેતુ હતો. એ કાર્ય સિદ્ધ પણ કર્યું. એ ઘંટાકર્ણ મહાવીરના હાથમાં સંકલ્પનું તીર છે અને એ સંકલ્પ છે આત્મજ્ઞાનની પ્રાપ્તિનો. એમની મૂછોમાં મૃત્યુંજય છે અને એ છે જીવનમાં નિર્ભયતાનો. એમના કદમ આગળ છે એનો અર્થ છે અધ્યાત્મ પુરુષાર્થના પથ પર સતત પ્રગતિ. એમનો યોગી જેવો લંગોટ જ્ઞાન-સાધના દર્શાવે છે, તો એમની આંખ દર્શન-ધ્યાન બતાવે છે અને મુગટ ચારિત્ર બતાવે છે. એક અનોખી વાત યોગનિષ્ઠ આચાર્યશ્રીએ આજથી એકસો વર્ષથી પણ વધુ વર્ષ પૂર્વે ઈ. સ. 1911(વિ. સં. 1977)માં અપૂર્વ ભવિષ્યદર્શન આલેખતું ‘એક દિન એવો આવશે’ એક કાવ્ય લખ્યું છે. જેમાં સહુ દેશોમાં સ્વાતંત્ર્યનો મહિમા થશે, સાયન્સનો વિકાસ થશે, હુન્નરકળાના સામ્રાજ્યનું જોર થશે અને એક ખંડમાંથી બીજા ખંડમાં ઘરમાં બેસીને વાત થશે – એવી ક્રાંતદર્શી અને આજે સાચી પુરવાર થયેલી વાત એમના કાવ્યમાં પ્રગટ કરી છે. સાચે જ એમ લાગે કે એમની પ્રતિભા એ જ સ્વયં ચમત્કાર છે !

પારિજાતનો પરિસંવાદ

23-6-2024

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑