નખશિખ સજ્જન મિત્ર

શ્રી કુમારભાઈ સાથેનો મારો વ્યક્તિગત પરિચય લગભગ ૪૦ વર્ષ જેટલો જૂનો છે. શરૂઆતનાં વર્ષોમાં અમે કુટુંબ સહિત કેટલાક ટૂંકા પ્રવાસો પણ સાથે કરેલા. આ દરમિયાન તેમનો વધુ પરિચય મળ્યો હતો તથા તેમની લાગણી અને સહૃદયતાનો સારો એવો અનુભવ પણ પ્રાપ્ત થયો હતો. અમારા બંનેનાં કાર્યક્ષેત્રો અલગ હોવાથી પછીનાં વર્ષોમાં વારંવાર મળવાનું શક્ય બનતું નથી છતાં અમને બાંધતી સંબંધોની સાંકળ તો એટલી જ મજબૂત રીતે ટકી રહી છે.

શરૂઆતનાં વર્ષોની વાત કરું તો હું કોઈ કોઈ વખત રાજકારણ, બંધારણ તથા કાનૂની વિષયોને સ્પર્શતા લેખો લખતો, પરંતુ તેમાં નિયમિતતા કે કોઈ જવાબદારી ન હતી. પરિણામે લેખન બાબતમાં કોઈ સાતત્ય જળવાતું નહિ. ૧૯૬૯-૭૦ દરમિયાન કુમારભાઈએ મને પ્રોત્સાહિત કર્યો કે મારે નિયમિત લખવું જોઈએ અને તે સમયે હું સર એલ. એ. શાહ લૉ કૉલેજ તથા એચ. એ. કૉલેજ ઑફ કૉમર્સમાં વેપારી કાયદાઓ, કંપની લૉ વગેરે વિષયો ભણાવતો તેમજ શ્રી અંબિકા ગ્રૂપમાં પણ કંપની સેક્રેટરી તરીકેની જવાબદારી સંભાળતો હતો. તેથી આ બાબતોને સ્પર્શતા વિષયો ઉપર નિયમિતપણે લખવાનું તેમણે મને સૂચન કર્યું હતું. આ પછી અમારી બંનેની ‘ગુજરાત સમાચાર'ના શ્રી બાહુબલિભાઈ શાહ સાથે મુલાકાત થઈ હતી અને તેમણે આ વિચારને વધાવી લીધો હતો. મને યાદ છે કે ગુજરાત સમાચારમાં ‘કાયદો અને સમાજ’ વિભાગની ૧૯૭૦માં શરૂઆત થઈ ત્યારે એના પહેલા લેખની અગાઉથી પ્રિન્ટ કાઢીને મિત્રભાવે શ્રી કુમારભાઈ જાતે મને આપવા આવ્યા હતા કે જેથી મારી ખુશીમાં તેઓ સહભાગીદાર બની શકે.

આ પછી મારી કારકિર્દીના અનેક મહત્ત્વના પ્રસંગોએ તેઓએ હમેશાં વ્યક્તિગત હાજર રહીને મને યોગ્ય સન્માન પ્રાપ્ત થાય તેવાં વક્તવ્યો પણ આપેલાં. બીજા શબ્દોમાં કહું તો હું ઇન્સ્ટિટ્યૂટ ઑફ કંપની સેક્રેટરીઝ ઑફ ઇન્ડિયા અને ઑલ ઇન્ડિયા મૅનેજમેન્ટ ઍસોસિયેશન જેવી રાષ્ટ્રીય સંસ્થાઓનો પ્રમુખ બન્યો ત્યારે અને બીજા ઘણા અગત્યના પ્રસંગોએ શ્રી કુમારભાઈએ મારા માટે દર્શાવેલી લાગણી અને ભાવના આજે પણ મારા દિલમાં જળવાઈ રહી છે.

અત્રે એક બાબતનો ઉલ્લેખ કરવાનું હું ખૂબ ઉચિત માનું છું કે સ્વ. શ્રી ઉત્તમભાઈ મહેતા સાથેનો મારો પ્રથમ પરિચય કરાવનાર કુમારભાઈ હતા. ‘૮૦ના દાયકાના મધ્યભાગમાં સ્વ. શ્રી મહેતાસાહેબ જ્યારે ટોરેન્ટને ઊભી કરી રહ્યા હતા અને તેમની કારકિર્દીમાં સફળતા મળવાની શરૂઆત થઈ હતી તે વર્ષો દરમિયાન કેટલાક પ્રસંગોએ કુમારભાઈએ મારો તેમની સાથે પરિચય કરાવ્યો હતો અને ત્યારબાદ અમારા સંબંધો વધુ ઘનિષ્ઠ બન્યા હતા. આમ ટોરેન્ટ જૂથ સાથેની મારી લગભગ દશ વર્ષની કારકિર્દી માટે આડકતરી રીતે શ્રી કુમારભાઈ સહયોગી હતા તેમ હું કહી શકું.

કુમારભાઈ નાની વયથી જ ખૂબ અભ્યાસી અને ચિંતન કરનાર વ્યક્તિ હતા. તેમના પિતાનો સાહિત્યનો વારસો તેમને પ્રાપ્ત થયો હતો અને પોતાના અભ્યાસ અને ખંત દ્વારા તેમણે આ વારસાને વધુ વિકસાવ્યો છે અને આજે તેઓ ગુજરાતી સાહિત્યના એક ઉચ્ચ કક્ષાના સાહિત્યકાર તરીકે સારી એવી ખ્યાતિ મેળવી શક્યા છે, તે તેમના સૌ કોઈ મિત્રોને માટે આનંદ અને ખુશીની વાત છે.

એક અધ્યાપક તરીકે પણ તેઓ ખૂબ લોકપ્રિય રહ્યા છે અને નવગુજરાત કૉલેજથી શરૂ કરીને આજે ગુજરાત યુનિવર્સિટીના ભાષાભવનના અધ્યક્ષ તરીકેની તેમની મજલ દરમિયાન હજારો વિધ્યાર્થીઓને તેમણે સારું જ્ઞાન અને સંસ્કાર આપ્યાં છે. તેમાંનાં અનેક તેમને ખૂબ જ આદર અને પ્રેમ સહિત યાદ કરતા હશે તે ચોક્કસ છે. એક સારા વક્તા તરીકે તથા જૈન ધર્મ અને ફિલસૂફીના પ્રખર અભ્યાસી તેમજ ચિંતક તરીકે કુમારભાઈએ ઘણી સારી નામના મેળવી છે. આ દિશામાં કાર્ય કરતી અનેક ઉચ્ચ કક્ષાની સંસ્થાઓમાં પણ એમનું ઘણું મોટું પ્રદાન ચાલુ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ તેમને અનેક સન્માનો મળ્યાં છે.
તેમનાં પત્ની પ્રતિમાબહેન માટે મને વ્યક્તિગત ખૂબ માન છે. તેઓ એક સન્નારી છે અને કુમારભાઈની અનેકવિધ પ્રવૃત્તિઓમાં તેઓ નિરંતર સાથ-સહકાર અને પ્રેરણા આપતાં રહ્યાં છે. કુમારભાઈ અને પ્રતિમાબહેન બંને ખૂબ જ પ્રેમાળ છે અને જેઓની સાથે આત્મીયતા અને ઘરોબો હોય તેમને માટે બધું જ કરી છૂટવા તેઓ સદા તત્પર રહે છે. તેમના બંને પુત્રો ચિ. કૌશલ અને ચિ. નીરવ સાથે મારે તેમની નાની વયથી જ પરિચય થયો હતો. તેમની કારકિર્દી માટે શ્રી કુમારભાઈ તેમને વારંવાર કહેતા કે 'કાકા પાસે જાઓ અને તેમનું માર્ગદર્શન મેળવો.''તેમના આ બંને સુપુત્રોએ મૅનેજમેન્ટનો અભ્યાસ કરવાનું પસંદ કર્યું હોઈને તેઓને પણ મારી સાથે વાતચીત અને ચર્ચા-વિચારણા કરવામાં આનંદ આવતો હતો તેમ મને લાગ્યું છે. શ્રી કુમારભાઈના આ બંને પુત્રો ખૂબ જ સંસ્કારી, પ્રેમાળ અને નિષ્ઠાવાન છે. મોટો દીકરો કૌશલ આજે મુંબઈમાં છે જ્યારે નાનો નીરવ યુ.એસ.એ.માં છે. મને શ્રદ્ધા છે કે, આ બંને ભાઈઓ તેમની જિંદગીને જરૂર ઉજ્જ્વળ બનાવશે. આવા મારા પરમ મિત્ર અને શુભચિંતક કુમારભાઈને ‘પદ્મશ્રી’નો ઍવૉર્ડ એનાયત થયો. છેલ્લે, આ અતિ સજ્જન શિક્ષણવિદ્ અને સાહિત્યકારનું સમગ્ર કુટુંબ સર્વ પ્રકારની ઉન્નતિ, યશ અને સુખ પ્રાપ્ત કરે તેવી મારી પરમ કૃપાળુ પરમાત્મા પાસે પ્રાર્થના છે.

ચીનુભાઈ આર. શાહ

ઔદ્યોગિક પ્રતિષ્ઠાનોમાં ઉચ્ચ કાર્યો કરનાર અને સમાજસેવી.

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑