સંકલ્પ અને સિદ્ધિ

જાણીતા લેખક, અધ્યાપક, પત્રકાર, તત્ત્વચિંતક ડૉ. કુમારપાળ દેસાઈને ભારત સરકાર તરફથી ‘પદ્મશ્રી'નો ઇલકાબ મળે છે, એ માત્ર જૈનો માટે જ નહિ, સમગ્ર ગુજરાત માટે ગૌરવરૂપ ઘટના છે. ભૂતકાળમાં કેટલા ઓછા ગુજરાતીઓને આ ઇલકાબ મળ્યો છે ! એ વાત જ આ ઇલકાબનું મૂલ્ય સમજવા માટે પૂરતી છે. ડૉ. કુમારપાળ દેસાઈ મારા મિત્ર છે એમ કહેવા કરતાં મારા સ્વજન છે એમ કહેવું વધારે યથાર્થ છે. અમારી મૈત્રી એક પારિવારિક સંબંધમાં પરિણમી છે. એક વડીલ તરીકે એમની વિકાસયાત્રાનો હું સાક્ષી છું. ડૉ. કુમારપાળને પહેલી વાર મળવાનું થયું અમારા શ્રી મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા આયોજિત પર્યુષણ વ્યાખ્યાનમાળા નિમિત્તે. પહેલી મુલાકાતે જ તેમના મળતાવડા સ્વભાવનો પરિચય થયો. પર્યુષણ વ્યાખ્યાનમાળામાં તેમનાં વ્યાખ્યાનો શ્રોતાઓમાં અત્યંત પ્રિય બન્યાં. તેઓ એક કુશળ વક્તા તો છે જ, પણ પૂરી સજ્જતા સાથે વ્યાખ્યાનો આપે છે, આથી જ એ માટે એમની દિશાઓ ખૂલતી ગઈ અને આંતરરાષ્ટ્રીય સ્તરે તેમણે માનભર્યું સ્થાન મેળવી લીધું છે. ડૉ. કુમારપાળ સાથે વ્યાખ્યાનમાળાના નિમિત્તે થયેલી મૈત્રી આગળ જતાં પારિવારિક સંબંધમાં પરિણમી. પછી તો અમદાવાદ જવાનું થાય તો સગાંસ્નેહીઓને ત્યાં ન ઊતરતાં એમને ઘેર જ ઊતરવાનું નિશ્ચિત થઈ ગયું. એમનાં માતુશ્રી સ્વ. જયાબહેન અને ધર્મપત્ની સૌ. પ્રતિમાબહેનનું આતિથ્ય માણવાનો અવસર અનેક વાર સાંપડ્યો છે અને એનાં મધુર સ્મરણો તાજાં જ છે. મૈત્રીની કળા શ્રી કુમારપાળને એમના પિતાશ્રી સ્વ. શ્રી જયભિખ્ખુ તરફથી વારસામાં મળી છે. નવા નવા સંબંધો બાંધવા અને જાળવવા એ અંતરની ઉદારતા વગર શક્ય નથી. ધૂપસળીની જેમ જીવન જીવવાની એમના પિતાશ્રીની ભલામણ એમણે પોતાના જીવનમાં બરાબર ઉતારી છે. કોઈકને માટે કશું કરી છૂટવાની તમન્ના એમના જીવનમાં રહેલી છે એટલે જ એમનું મિત્રવર્તુળ ઘણું મોટું છે. એમની સુવાસ કેટલી બધી છે એનો એ પરિચય કરાવે છે. અધ્યયન, અધ્યાપન, લેખનકાર્ય, પત્રકારત્વ, રમતગમત એમ વિવિધ ક્ષેત્રે ડૉ. કુમારપાળે ઘણી સારી સિદ્ધિ મેળવી છે.‘ગુજરાત સમાચાર’માં પોતાના પિતાશ્રીની કૉલમ ‘ઈંટ અને ઇમારત' એમણે ચાલુ રાખી અને આજ દિવસ સુધી એનું લેખન-સંપાદન-સંચાલન તેઓ કરતા રહ્યા છે. તદુપરાંત બીજી પણ કેટલીક કૉલમો તેઓ ચલાવે છે. તેમની શક્તિનો એ પરિચય કરાવે છે. અધ્યાપનના ક્ષેત્રે પણ તેમણે કૉલેજના વ્યાખ્યાતામાંથી યુનિવર્સિટીમાં રીડર, પ્રોફેસર, ડાયરેક્ટર અને ડીન સુધીની પદવી પ્રાપ્ત કરી એ એમની સતત થતી રહેલી પ્રગતિની સાક્ષી પૂરે છે. પીએચ.ડી. માર્ગદર્શક તરીકે પણ તેમણે ઘણું યશસ્વી કાર્ય કર્યું છે. વ્યાખ્યાનો, પરિસંવાદો, સંમેલનો, પરિષદો વગેરેને નિમિત્તે દુનિયાભરમાં તેમનું સતત પરિભ્રમણ થતું રહ્યું છે. એમણે પોતાની યશસ્વી કારકિર્દીમાં સમયનો અપ્રમત્તપણે ઉપયોગ કર્યો છે. તેઓ દૂરંદેશીવાળા છે અને પ્રત્યેક કાર્યનું આયોજન વેળાસર કરી તેને સારી રીતે પાર પાડે છે. એમાં એમને એમના દેશ-વિદેશના મિત્રોનો સારો સહકાર સાંપડ્યો છે. એમનાં ધર્મપત્ની સૌ. પ્રતિમાબહેનનું યોગદાન મહત્ત્વનું રહ્યું છે. સૌ. પ્રતિમાબહેનેકાર્યેષુ મંત્રી’નો ગૃહિણીનો આદર્શ યથાર્થ કર્યો છે. ડૉ. કુમારપાળ દેસાઈને `પદ્મશ્રી’નો ઇલકાબ મળે છે એમાં અડધો ભાગ એમનો પણ ગણાવો જોઈએ.
પદ્મશ્રીના ઇલકાબ પ્રસંગે ડૉ. કુમારપાળ દેસાઈને ધન્યવાદ અને હજુ પણ ઉત્તરોત્તર તેઓ વધુ સિદ્ધિઓ પ્રાપ્ત કરતા રહે એવી શુભ કામના.

રમણલાલ ચી. શાહ

શ્રી મુંબઈ જૈનયુવક સંઘના અગ્રણી, પ્રવાસ લેખક, મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના સંશોધક

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑