કોઈક સર્જક કદાચ પરંપરા પ્રાપ્ત સંસ્કારોથી અને પોતાના સમયમાં પ્રવર્તતા પ્રભાવોથી મુક્ત અને અલિપ્ત રહી શકતો હોય છે. એની સર્જક પ્રતિભા પ્રાપ્ય અને પ્રવર્તમાન સંસ્કાર-ભૂમિકાથી આરંભીને પછી એ સ્વ-પ્રતિભાબળે એ બધાની ઉપરવટ જઈ આગવી અભિવ્યક્તિનો આવિષ્કાર કરી શકે છે. તેમ થાય છે ત્યારે એક નવા પ્રસ્થાનથી, સીમોલ્લંઘનથી વિકાસ સાધે છે તે સાથે જ તેનું એ નવું પ્રસ્થાન અનુગામીઓ માટે એક વધુ અનુકરણીય આદર્શ બની જતાં કાળે કરીને તે પણ પરંપરાનો ભાગ બની જાય છે. કુમારપાળ દેસાઈ પરંપરાપ્રાપ્ત સંસ્કારો, ઉમદા વારસો; સંશોધનની અભિવ્યક્તિ, વિજ્ઞાનપ્રાપ્ત પ્રવાહોથી સતત વિકસી રહેલા જગતને આત્મસાત્ કરવાની સતર્કતા આગામી સદીમાં શું થઈ શકે અને શું કરવું જોઈએ એની નિર્મળ દૃષ્ટિ, આપણો આધ્યાત્મિક વારસો અને આધુનિક વિજ્ઞાનના સમન્વયથી, અભિવ્યક્તિનો આવિષ્કાર કરી શકે છે.
સર્જક ‘જયભિખ્ખુ'ના એ સંતાન સ્વપ્રતિભાબળે પોતાની સર્જનશીલતા સ્થાપિત કરવાના ઉદ્દેશથી, સાહિત્યજગતમાં છલાંગ મારતા નથી, પણ ખાસ કરીને ગુજરાતી પ્રજામાં વણખેડાયેલા, ઉવેખાયેલા રમતગમતના ક્ષેત્રની સમીક્ષા, વિવેચનથી, પોતાની લેખન-પ્રવૃત્તિનો પરચો આપે છે. એ રીતે તેઓ સ્વીકૃતિ પામ્યા બાદ ધર્મ-અધ્યાત્મ, યોગ, હસ્તપ્રતોનાં સંશોધન, કળાવારસાના જતન અને સંવર્ધનની એ સતત ખેવના કરતાં-કરતાં સર્જનશીલતાના આકાશને આંબે છે. નવલિકા, વિવેચન, ઇતિહાસ તથા દંતકથાના તત્ત્વને ગાળીને પ્રેરક ચરિત્રોનો રસાળ ફાલ લઈને આવે છે. આનંદઘનજી વિશેના મહાનિબંધમાં એમની શુદ્ધ ઇતિહાસ-દૃષ્ટિ ગોચર થાય છે.
કુમારપાળનું વ્યક્તિત્વ બહુ-પરિમાણી છે. આદર્શની ભૂમિકાએ રહેવા છતાં વ્યવહારદક્ષ અને પ્રેમાળ પણ એટલા જ. મારા એક અન્ય મિત્ર. તદ્દન નિર્ભય. તળપદી ભાષામાં કહીએ તો ‘કોઈની સાડાબારી રાખે નહીં’. ભલભલા ચમરબંધીને ભરીસભામાં મોઢામોઢ ચોડી દે એવી એની તાસીર. એક વખત ભાઈ કુમારપાળની ઉપસ્થિતિમાં એમણે કહ્યું : ‘પાંચમની છઠ્ઠ થવાની નથી.' ચર્ચા લાંબી ચાલત, પણ ભાઈ કુમારપાળે લાગલું જ કહ્યું :'પાંચમની છઠ્ઠ થવાની નથી તે સાચું, પણ પાંચમની ચોથ ન થાય તે તો જોવું.’
પન્નાલાલ ર. શાહ
સાહિત્યકાર, મુંબઈ જૈન યુવક સંઘના પૂર્વ મંત્રી અને ઊંડા અભ્યાસી