શૈક્ષણિક કારકિર્દી

શૈક્ષણિક કારકિર્દી

કુમારપાળે મુખ્ય વિષય તરીકે ગુજરાતી લઈ અમદાવાદમાંથી ૧૯૬૩માં બી.એ. અને ૧૯૬૫માં એમ.એ. થઈ અમદાવાદની નવગુજરાત કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે કારકિર્દીની શરૂઆત કરી. ૧૯૮૦માં ડૉ. ધીરુભાઈ ઠાકરના માર્ગદર્શન નીચે ‘આનંદઘન : એક અધ્યયન’ વિશે શોધપ્રબંધ લખી એમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. ૧૯૮૩માં તેઓ ગુજરાત યુનિવર્સિટીના ભાષા-સાહિત્યભવનમાં જોડાયા. એ પછી  ૨૦૦૧ના નવેમ્બરથી તેઓએ ગુજરાતી વિભાગના પ્રાધ્યાપક ઉપરાંત ભાષાસાહિત્યભવનના અધ્યક્ષ તરીકે સેવા આપી અને ૨૦૦૪માં નિવૃત્ત થયા. ગુજરાત યુનિવર્સિટીના આર્ટ્સ ફૅકલ્ટીના ડીન તરીકે અનેક નવા નવા અભ્યાસક્રમોનું એમણે આયોજન કર્યું હતું. તેઓ જૈન વિશ્વભારતી યુનિવર્સિટી, લાડનૂના પ્રોફેસર એમરીટ્સ તથા ગૂજરાત વિદ્યાપીઠમાં ઍડજંક્ટ પ્રોફેસર તરીકે કાર્યરત છે.

ગુજરાતી સાહિત્ય, પત્રકારત્વ, જૈનદર્શન, ગાંધીસંશોધન અને શાંતિસંશોધન –એમ પાંચ વિષયમાં પીએચ.ડીની પદવી માટેના માર્ગદર્શક (ગાઇડ) તરીકે તેઓ કાર્યરત હતા. આ એક મહત્ત્વની બાબત ગણાય. એમના માર્ગદર્શન હેઠળ ૨૨થી વધુ વિદ્યાર્થીઓએ પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી છે. ૨૦૨૨માં તેમના માર્ગદર્શન હેઠળ ચાર સાધ્વીજીઓએ પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી.

ગુજરાત યુનિવર્સિટીના ગુજરાતી અભ્યાસ સમિતિના અધ્યક્ષ અને એકૅડેમિક કાઉન્સિલના સભ્ય ડૉ. કુમારપાળ દેસાઈએ સિંગાપોરની ૫૦ વર્ષની પરંપરા ધરાવતી ગુજરાતી સ્કૂલમાં અભ્યાસક્રમ અંગે વર્કશૉપ કર્યા છે. કેનિયા અને એન્ટવર્પમાં ગુજરાતી શીખવા અંગેના પ્રયત્નોમાં સક્રિય સહયોગ આપવા સાથે તેમણે બ્રિટનની ગુજરાતી સાહિત્ય અકાદમી અને અમેરિકાની ગુજરાતી લિટરરી એકૅડેમી તરફથી વક્તવ્યો આપ્યાં છે. તેમના સમગ્ર સાહિત્યસર્જનને લક્ષમાં રાખીને ગુજરાતી સાહિત્યનો નોબેલ પુરસ્કાર ગણાતો રણજિતરામ સુવર્ણચંદ્રક ૨૦૧૫માં તેમને એનાયત થયો છે.

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑