પત્રકારત્વમાં પ્રવેશ

પત્રકારત્વમાં પ્રવેશ

કુમારપાળ દેસાઈએ અગિયાર વર્ષની વયે ‘ઝગમગ’ નામના બાળસાપ્તાહિકમાં દેશ માટે જીવનનું બલિદાન આપનાર એક ક્રાંતિવીરની કાલ્પનિક કથાથી લેખનના શ્રીગણેશ કરેલા. બાળપણથી જ તેમને ત્યાગ-શૌર્યની વાતોનું આકર્ષણ હતું; કેમ કે – વીરોની ભૂમિ સૌરાષ્ટ્ર એમનું જન્મસ્થાન-વતન છે તેમજ શૈશવથી જ ‘કુરબાનીની કથાના રચયિતા ઝવેરચંદ મેઘાણી, સાગરકથાઓના સર્જક ગુણવંતરાય આચાર્ય, વિખ્યાત નવલિકાકાર ધૂમકેતુ, કવિ દુલા કાગ જેવા સમર્થ સાહિત્યસ્વામીઓનું સાન્નિધ્ય તેમને સાંપડ્યું હતું.

પિતા જેવાં જ ખમીર અને ખુમારી તેમનામાં છે. પોતાનું લખાણ પિતાના કારણે ન છપાય એ માટે જ તેમણે પોતાનું પ્રથમ લખાણ ‘કુ. બા. દેસાઈ’ એવા નામથી મોકલ્યું હતું ! એમનું પ્રથમ પુસ્તક ‘વતન, તારાં રતન’ કૉલેજના અભ્યાસકાળ દરમિયાન પ્રગટ થયું. અખબારોમાં લખવાની શરૂઆત તો એમણે પ્રથમ વર્ષ બી.એ.માં ભણતા હતા ત્યારથી કરી દીધેલી.

લાલ ગુલાબની સફળતા

તેમણે ૧૧ વર્ષની વયે ‘ઝગમગ’માં અને ૧૯૬૨માં ‘ગુજરાત સમાચાર’માં કૉલમલેખનનો અને ૧૯૬૫માં ગ્રંથલેખનનો પ્રારંભ કરેલો. ૧૯૬૫માં લાલબહાદુર શાસ્ત્રીનું જીવનચરિત્ર ‘લાલ ગુલાબ’ નામે લખીને બાળસાહિત્યક્ષેત્રે પદાર્પણ કર્યું. એ પુસ્તકની ૬૦ હજાર નકલો વેચાઈ અને ગુજરાતભરમાં જાણીતી શિષ્ટવાચન-પરીક્ષામાં એ પાઠ્યપુસ્તક તરીકે પસંદગી પામ્યું. ગુજરાત સરકારની ઉચ્ચ ગુણવત્તાવાળા બાળસાહિત્યની સ્પર્ધામાં એ પુસ્તકને પ્રથમ પુરસ્કાર પ્રાપ્ત થયેલો. ૧૯૬૬ની ૧૧મી જાન્યુઆરીએ વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીનું અણધાર્યું અવસાન થતાં કુમારપાળે એમના જીવનની વિશેષ વિગતો પ્રાપ્ત કરી લગભગ ત્રણસો પૃષ્ઠનું ‘મહામાનવ શાસ્ત્રી’ નામક વિસ્તૃત ચરિત્ર તૈયાર કર્યું, જેનો પ્રકાશન-સમારોહ ‘ધૂમકેતુ’કૃત ‘ધ્રુવદેવી’ નવલકથાના પ્રકાશન સાથે સંલગ્ન હતો (૨૦-૪-૧૯૬૬).

‘લાલ ગુલાબ’ની સફળતા પછી કુમારપાળે બાળસાહિત્યસર્જનમાં સક્રિયતા દાખવી. પોતાનાં પુસ્તકોની સંખ્યામાં સતત વૃદ્ધિ કરવી એ એમનું લક્ષ્ય ન હતું; પ્રત્યેક પુસ્તકના લેખન પાછળ એક આગવી દૃષ્ટિ રાખીને તેઓ લખતા. અકબર અને બીરબલની ચાતુરીની વાતો સાંભળનારા ગુજરાતને ચતુર તથા વિચક્ષણ ગુજરાતીની ઓળખ કરાવવી જોઈએ એ દૃષ્ટિએ ‘ડાહ્યો ડમરો’ જેવી કહેવતની પાછળ રહેલા દામોદર મહેતાની કથા તથા ચાતુરીની વાત આપી. આ રીતે કચ્છની વીરતા દર્શાવતું ‘કેડે કટારી ખભે ઢાલ’, કોમી એખલાસના વિષય પર ‘બિરાદરી’, નાનાં બાળકોનાં સાહસો દર્શાવતાં ‘હૈયું નાનું, હિંમત મોટી’, ‘નાની ઉંમર, મોટું કામ’, ‘ઝબક દીવડી’, ‘મોતને હાથતાળી’ તથા ‘મોતીની માળા’, ‘મોતીની ખેતી’ જેવાં પ્રેરક પ્રસંગો આપતાં પુસ્તકો લખ્યાં. જીવનચરિત્રક્ષેત્રે કુમારપાળે ‘વીર રામમૂર્તિ’, ‘સી. કે. નાયડુ’, ‘લાલા અમરનાથ’, ‘બાળકોના બુદ્ધિસાગરસૂરિજી’, ‘ભગવાન ઋષભદેવ’, ‘ફિરાક ગોરખપુરી’, ‘ભગવાન મલ્લિનાથ’, ‘આતમજ્ઞાની શ્રમણ કહાવે’, ‘ભગવાન મહાવીર’, ‘અંગૂઠે અમૃત વસે’, ‘શ્રી મહાવીર જીવનદર્શન’, ‘માનવતાની મહેક’ (પ્રેમચંદ વ્રજપાળ શાહનું જીવનચરિત્ર), ‘આફતોની આંધી’ વચ્ચે સમૃદ્ધિનું શિખર (યુ. એન. મહેતાનું ચરિત્ર), ‘મૂળમાર્ગનું અમૃત અને અધ્યાત્મનું શિખર’ (શ્રીમદ્ રાજચંદ્રનું જીવનચરિત્ર) અને ‘જીવતરની વાટે, અક્ષરનો દીવો’ (પિતા જયભિખ્ખુનું જીવનચરિત્ર) જેવાં અનેક ચરિત્રો આપ્યાં છે. એ ચરિત્રોમાં તેમણે મુખ્યત્વે જે તે ચરિત્રનાયકના જીવનના મહત્ત્વના પ્રસંગોને રસપ્રદ રીતે ગૂંથી તેમની વાસ્તવિક જીવનછબી પ્રસ્તુત કરવાનો પ્રયાસ કર્યો છે, તેથી તે ચરિત્રો રસાવહ અને સુવાચ્ય બન્યાં છે. કુમારપાળ દેસાઈને તેમના બાળસાહિત્ય સર્જન માટે કેન્દ્રીય સાહિત્ય અકાદમી(૨૦૧૯)નો ઍવૉર્ડ પણ એનાયત થયો છે.

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑