સાહિત્યિક ગતિવિધિ

વિશેષ સાહિત્યિક ગતિવિધિ

ચરિત્રસાહિત્યમાં મૂકી શકાય એવું એક પ્રેરક પુસ્તક ‘અપંગનાં ઓજસ (કુલ આઠ આવૃત્તિ) એમણે લખ્યું છે. આ પુસ્તક બ્રેઇલ લિપિમાં રૂપાંતર પામ્યું તથા ‘अपाहिज तन, अडिग मन’ને નામે હિંદીમાં (ત્રણ આવૃત્તિ) અને ‘The Brave Hearts’ (ચાર આવૃત્તિ)ને નામે અંગ્રેજીમાં એનો અનુવાદ કર્યો. આ પુસ્તકની પ્રસ્તાવના ગુજરાતના સમર્થ સંત પૂજ્ય શ્રી મોટાએ તથા પ્રસિદ્ધ ક્રિકેટર વિજય મર્ચન્ટે લખી છે.

બાળસાહિત્યક્ષેત્રે મબલક અને સત્ત્વશીલ અર્પણ કર્યા પછી એમણે પ્રૌઢસાહિત્યક્ષેત્રે પણ કલમ ચલાવી. વાસ્તવમાં બાળસાહિત્યની સાથે સાથે તેમનું પ્રૌઢસાહિત્યનું સર્જન, વિવેચન-સંશોધન પણ ચાલતું રહ્યું છે.

બાળકથાઓ ઉપરાંત કુમારપાળે લખેલો નવલિકાસંગ્રહ ‘એકાંતે કોલાહલ’ લોકપ્રિય થયો છે. ‘જયભિખ્ખુ’ અને ‘ધૂમકેતુ’ જેવા સમર્થ વાર્તાકારોનો પ્રભાવ તેમની વાર્તાઓ ઉપર દૃષ્ટિગોચર થાય છે.

કુમારપાળ દેસાઈ ભારતીય સંસ્કૃતિ, જૈનદર્શન અને જૈનસાહિત્યના અભ્યાસી છે. તેમણે ચિંતનલેખોના અનેક સંગ્રહો આપ્યા છે. ‘ઝાકળભીનાં મોતી’ના ત્રણ ભાગ, ‘મોતીની ખેતી’, ‘મહેક માનવતાની’, ‘તૃષા અને તૃપ્તિ’, ‘ક્ષમાપના’, ‘શ્રદ્ધાંજલિ’, ‘જીવનનું અમૃત’, ‘દુ:ખની પાનખરમાં આનંદનો એક ટહુકો’, ‘ઝાકળ બન્યું મોતી’ વગેરે સંગ્રહોમાં પ્રેરક પ્રસંગો મળે છે. આ સંગ્રહોના કેટલાક લેખો વ્યાખ્યાન નિમિત્તે લખાયા હતા. તેમનાં ચિંતનાત્મક પુસ્તકોમાં ‘પરમનો સ્પર્શ’, ‘ક્ષણનો વૈભવ’, ‘કેસર અને કુમકુમ’, ‘કેસરની ક્યારી’, ‘ભાવમંજૂષા’, ‘કથામંજૂષા’ છે. ‘મનની મિરાત’, ‘જીવનનું જવાહિર’, ‘શીલની સંપદા’, ‘હારું તે હું નહીં’ વગેરે પ્રેરણાત્મક પુસ્તકો તેમની પાસેથી ઉપલબ્ધ થયાં છે.

સાત વર્ષના મહાભારતના અભ્યાસને અંતે એમણે ‘અનાહતા’ નામની ૬૩૪ પૃષ્ઠની બૃહદ નવલકથા લખી. એમાં કુમારિકા તરીકે, પત્ની તરીકે, માતા તરીકે કુંતીના વ્યક્તિત્વનાં વિવિધ પાસાં ઉજાગર કર્યાં છે. કુંતી જીવનની વિવિધ સમસ્યાઓમાં આવતી આપત્તિ કેવી સ્વસ્થતાથી અને ગરિમાથી સહન કરે છે. એ આઘાતોથી અભિભૂત થવાને બદલે ‘અનાહતા’ રહીને તેનો સ્વીકાર કરે છે. આ નવલકથાને સૂરતના નર્મદ સાહિત્ય સભા તરફથી આપણા પ્રથમ નવલકથાકાર નંદશંકર મહેતાની સ્મૃતિમાં ૨૦૧૯-૨૦ની શ્રેષ્ઠ નવલકથા તરીકે કુમારપાળ દેસાઈને સ્મૃતિચિહ્ન અને સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યાં.

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑