સંસ્થાઓ દ્વારા વિવિધ કાર્યો
કર્મવીર કુમારપાળ સાહિત્ય, સંસ્કૃતિ અને શિક્ષણની સંખ્યાબંધ સંસ્થાઓ સાથે સક્રિય રીતે સંકળાયેલા છે. ગુજરાતી સાહિત્ય પરિષદમાં અગાઉ પ્રમુખ અને મંત્રી તરીકે કામ કરી ચૂકેલા તેઓ અત્યારે તેની મધ્યસ્થ સમિતિના સભ્ય છે. કુમારપાળ છેલ્લાં ઘણાં વર્ષોથી શ્રી જયભિખ્ખુ સાહિત્ય ટ્રસ્ટની અનેકવિધ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. પ્રા. અનંતરાય રાવળ સ્મારક સમિતિ અને ચંદ્રવદન મહેતા સ્મારક સમિતિના તેઓ પ્રમુખ છે. ગુજરાતની અસ્મિતાના મહાપુરુષાર્થ સમાન ‘ગુજરાતી વિશ્વકોશ’ના પ્રારંભથી જ તેઓ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે સેવારત છે. હાલ તેઓ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના મૅનેજિંગ ટ્રસ્ટી તરીકે કાર્યરત છે. અનુકંપા ટ્રસ્ટ, ઇન્ડિયન રેડક્રૉસ સોસાયટી (બોટાદ બ્રાન્ચ), વિદ્યાવિકાસ ટ્રસ્ટ વગેરે સંસ્થાઓ દ્વારા તેઓ આપત્તિગ્રસ્ત લોકોને અને વિદ્યાવિકાસનાં કાર્યોમાં મદદરૂપ બને છે. ૨૦૦૧ની ૨૬મી જાન્યુઆરીએ ગુજરાતમાં થયેલ ભીષણ ધરતીકંપ વેળા તેમણે ભૂકંપગ્રસ્તો માટે પંદર લાખ રૂપિયા જેટલી રકમ વિદેશથી મેળવી હતી. ગળથૂથીમાંથી જ સાહિત્ય, સંસ્કૃતિ અને સેવાના સંસ્કાર મેળવનાર કુમારપાળ દેસાઈના કાર્યક્ષેત્રનો વ્યાપ વિશાળ અને વૈવિધ્યસભર છે.