વિશ્વકોશના રાહબર :
વિશ્વકોશના પ્રારંભથી વિશ્વકોશના પ્રણેતા પિતા જયભિખ્ખુના પરમ મિત્ર અને પોતાના Ph.D.ના અભ્યાસ માટેના માર્ગદર્શક ડૉ. ધીરુભાઈ ઠાકર સાથે કુમારપાળ દેસાઈ કાર્યરત હતા અને વિશ્વકોશના જુદા જુદા વિષયોના પરામર્શક તરીકે અને એથીયે વિશેષ તો વિશ્વકોશના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહ્યા. સંસ્થાની સઘળી વિદ્યાકીય પ્રવૃત્તિ સરળતાથી ચાલ્યા કરે તે માટે એનું આર્થિક પાસું મજબૂત હોય તે અનિવાર્ય છે. એ માટે પણ કુમારપાળ દેસાઈએ ઘણા પ્રયત્નો કર્યા. સંસ્થાને સંતો, શ્રેષ્ઠીઓ અને વ્યાપક સમાજ સાથે જોડવાનું કાર્ય કર્યું. ૨૦૧૪ની ૨૪મી જાન્યુઆરીએ ધીરુભાઈનું અવસાન થતાં એમની અંતિમ વર્ષોની વિશ્વકોશને વિશ્વસંસ્કૃતિ કેન્દ્ર બનાવવાની ભાવનાને સાકાર કરવા માટે કુમારપાળે અપ્રતિમ પુરુષાર્થ કર્યો. એથીયે વિશેષ વર્તમાન વિશ્વને અનુલક્ષીને વિશ્વકોશના સમગ્ર જ્ઞાનસાગરને ઑનલાઇન મૂકવાનું ભગીરથ કાર્ય કર્યું. પરિણામે આજે દુનિયાના કોઈ પણ ખૂણે બેઠેલો ગુજરાતી આ વિશ્વકોશ જોઈ શકે છે.
સાત-સાત વર્ષની મહેનત બાદ આજે ૨૪૦૦૦ લખાણો ધરાવતા ૨૬૦૦૦ પૃષ્ઠોના વિશ્વકોશને ઑનલાઇન મૂક્યો છે. જેને દર મહિને દોઢ લાખ લોકો જુએ છે. ભારત, અમેરિકા, ફ્રાન્સ, ઇંગ્લૅન્ડ, સિંગાપોર, જર્મની, ઑસ્ટ્રેલિયા અને જાપાન જેવાં દેશોમાં પણ વિશ્વકોશમાંથી માહિતી મેળવવામાં આવે છે.
આજે વિશ્વકોશ સંસ્થા દ્વારા બાર જેટલાં ઍવૉર્ડ્ઝ, દસ જેટલી વ્યાખ્યાનશ્રેણી, છ જેટલી ગ્રંથશ્રેણી અને સંતકોશ, નારીકોશ, બૃહદ્ નાટ્યકોશ જેવાં જુદા જુદા કોશ તૈયાર થઈ રહ્યાં છે.
એવી જ રીતે તાજેતરમાં ગુજરાતી વિશ્વકોશ સાથે ગુજરાતી લેક્સિકનનું જોડાણ પણ કરવામાં આવ્યું, જેથી ઉદ્યોગપતિ અને ભાષાપ્રેમી શ્રી રતિલાલ ચંદરયાના પ્રયત્નોથી પિસ્તાલીસ લાખ શબ્દો ધરાવતો ગુજરાતી ભાષાનો સર્વપ્રથમ ઑનલાઇન શબ્દકોશ ‘ગુજરાતી લેક્સિકન’નો પણ વિશ્વકોશની પ્રવૃત્તિમાં સમાવેશ થયો અને અત્યાર સુધીમાં ચાર કરોડ અને એંશી લાખ લોકોએ આની મુલાકાત લીધી છે.
‘વિશ્વવિહાર’ સામયિકનું પ્રકાશન, એની શ્રાવ્ય સ્વરૂપે ઉપલબ્ધિ અને તાજેતરમાં અમેરિકાથી પ્રસિદ્ધ થતું શિષ્ટ અને સંસ્કારી સાહિત્યનું ત્રૈમાસિક ‘ગુર્જરી ડાયજેસ્ટ’ પણ વિશ્વકોશ દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે. એના બાળવિશ્વકોશના દસ ગ્રંથો બ્રેઇલ લિપિમાં ઉપલબ્ધ બન્યાં છે, આ સમગ્ર બાળવિશ્વકોશ થોડા સમયમાં ઑનલાઇન પણ મૂકવામાં આવશે. આ ઉપરાંત હસ્તપ્રતવિદ્યા, રોબોટિક્સ, પ્રૂફવાચન અને સર્જનાત્મક લેખનશિબિર જેવી કાર્યશિબિરોનું આયોજન થાય છે.
૨૦૨૦માં કોરોનાની મહામારી આવી. આ સમય દરમિયાન બે મહિના લૉકડાઉનમાં પણ યૂ-ટ્યૂબ ચૅનલ પર ઑનલાઇન નિયમિત રીતે વ્યાખ્યાનો મુકાતાં રહ્યાં. લોકોને કોરાના અંગેની સમજણ અને સાવચેતી માટેની વાચનસામગ્રી પણ ફેસબુક અને વૉટ્સએપ ઉપર વિશ્વકોશ દ્વારા પ્રસ્તુત થતી રહી.
કુમારપાળ દેસાઈ સ્વપ્નસેવી છે. સમાજની ચિંતા તેમને સતત સતાવતી હોય છે. તેમને વિચાર આવ્યો કે ‘વિશ્વવિહાર’ નામનું સામયિક દર મહિને પ્રગટ તો થાય છે, પણ પ્રજ્ઞાચક્ષુ અથવા તો જેમને વાંચવાની તકલીફ છે તેમને માટે કંઈક કરવું જોઈએ. આમ તેમણે વિશ્વવિહારના લેખો શ્રાવ્ય રૂપે (ઓડિયો સ્વરૂપે) મૂકવાનો પ્રારંભ કર્યો.
વળી તેમને એમ પણ થયું કે ચિત્રકાર પોતાનાં ચિત્રોની વાત કરે અને પછી તરત જ તેનાં ચિત્રો પણ જોઈ શકે તો ચિત્રકારને એની વાત કરવાનો કેટલો આનંદ થાય. એટલે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટને પોતાનો હૉલ તો હતો જ, પણ સામે કલાવીથિકા પણ બનાવી, જ્યાં કલાકાર વીડિયો પ્રેઝન્ટેશન દ્વારા એની કલાયાત્રાની વાત કરી શકે. પરિણામે હકુ શાહ, કે. જી. સુબ્રમણ્યમ્, જ્યોતિ ભટ્ટ, રતિલાલ કાંસોદરિયા, ધ્રુવ મિસ્ત્રી, મનહર કાપડિયા, અમિત અંબાલાલ વગેરે પ્રસિદ્ધ ચિત્રકારોએ પોતાની કેફિયત રજૂ કરીને કેટલાંક પસંદ કરેલાં ચિત્રો કલાવીથિકામાં મૂક્યાં.
વિશ્વકોશને પોતાનો એક સ્ટુડિયો હોય તો કેવું ? એવો વિચાર એમને આવ્યો. પરિણામે એક દૃશ્ય-શ્રાવ્યકેન્દ્ર પણ ઊભું થયું જેમાં ગુજરાતની અગ્રણી વ્યક્તિઓના ઇન્ટરવ્યૂ થયા, જે હવે અમારી યૂ-ટ્યૂબ ચૅનલ ઉપરથી પ્રસ્તુત થાય છે. કુમારપાળ દેસાઈની દીર્ઘષ્ટિના પરિણામે આ શક્ય બન્યું છે.
આમ વડમાંથી વડવાઈઓ ફૂટે તે રીતે વિશ્વકોશની રચનાથી પ્રારંભ કરનારી આ સંસ્થા આજે વિશ્વસંસ્કૃતિની ઓળખ બની રહી છે આ બધાં કાર્યો માટે ડૉ. કુમારપાળ દેસાઈ અને એમના વિશ્વકોશના સહુ સાથીઓ અવિરત પુરુષાર્થ કરી રહ્યાં છે. તાજેતરમાં વિશ્વકોશભવનની નજીકમાં એક બીજું રિસર્ચ સેન્ટર તૈયાર થાય તે માટે એક વિશાળ મકાન પણ લેવામાં આવ્યું છે. વિશ્વકોશના પ્રારંભથી જ ડૉ. કુમારપાળ દેસાઈ એના ટ્રસ્ટી છે અને આજે એમની રાહબરી હેઠળ આ સંસ્થા વધુને વધુ વિકાસ સાધી રહી છે.