ધર્મદર્શનમાં આગવી ઓળખ
કુમારપાળ દેસાઈ કુશળ વક્તા પણ છે. ગુજરાત અને ભારતમાં સાહિત્ય, શિક્ષણ, ભારતીય સંસ્કૃતિ અને જૈનદર્શન વિશે ઠેર ઠેર વ્યાખ્યાનો આપવાની સાથે તેમણે ઇંગ્લૅન્ડ, અમેરિકા, પૂર્વ આફ્રિકા, કૅનેડા, સિંગાપોર, બેલ્જિયમ, હૉંગકૉંગ, મલેશિયા, ઇન્ડોનેશિયા, દુબાઈ વગેરે દેશોમાં પર્યુષણ તેમજ પરિસંવાદ આદિ નિમિત્તોએ આપેલાં વ્યાખ્યાનો ખૂબ પ્રશંસા પામ્યાં છે. ઈ. સ. ૧૯૯૦માં બિંકગહામ પૅલેસમાં ડ્યૂક ઑવ એડિનબરો પ્રિન્સ ફિલિપને ‘જૈન સ્ટેટમેન્ટ ઑન નેચર’ અર્પણ કરવા ગયેલા પાંચ ખંડના જૈન પ્રતિનિધિમંડળમાં તેઓ એક હતા. વળી ૧૯૯૩માં શિકાગોમાં અને ૧૯૯૯માં દક્ષિણ આફ્રિકાના કૅપટાઉન શહેરમાં યોજાયેલી ‘વર્લ્ડ પાર્લમેન્ટ ઑવ રિલિજિયન્સ’માં એમણે વક્તવ્ય આપ્યાં. ૧૯૯૪માં વેટિકનમાં પોપ જ્હૉન પૉલ(દ્વિતીય)ની મુલાકાત લેનાર પ્રતિનિધિમંડળમાં ધર્મદર્શન વિશે તેમણે સાર્થક ચર્ચા કરી હતી. ‘ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનૉલૉજી’ નામની વિશ્વવ્યાપી સંસ્થાના તેઓ ભારત ખાતેના મેનેજિંગ ટ્રસ્ટી છે.