તમે મારા ખોટા રૂપિયાને સવા રૂપિયા સાચો કર્યો !
માનવતાના મસીહાની આ મર્મભેદક કથા છે. જેણે બીજાની વેદના પોતાના હૃદયમાં સામે ચાલીને સ્વીકારી લીધી છે. અન્યની પારાવાર પીડાનો સ્વયં સાક્ષાત્ અનુભવ કર્યો છે, પછી એ 2001ની 26મી જાન્યુઆરીએ સવારે 8.44 મિનિટે થયેલા કચ્છના ધરતીકંપની હોય કે પછી એ વેદના કોઈ નારીના ગર્ભાશયની પીડા હોય. આમાં સ્ત્રીની સ્થિતિ એવી હોય છે કે સાદી ભાષામાં કહીએ તો એનું ગર્ભાશય બહાર આવી જાય અને બે પગની વચ્ચે ફ્રિક્શન થાય, એમાં ચાંદાં પડે, એ કોઈને કહી શકે નહીં અને આવી મહિલાઓની પીડા જોઈ લીલાધર ગડા ‘અધા’ને ઊંઘ ન આવે. વર્ષો પહેલાં સામાજિક જાગૃતિ માટે લીલાધર ગડાએ નાટક લખ્યું હતું અને એમાં તેઓ અધા(પિતા)નું પાત્ર ભજવતા હતા.
એમણે નક્કી કર્યું કે, ‘મારે આવી મહિલાઓની તકલીફ દૂર કરવી છે’ અને અત્યાર સુધીમાં હજાર-બારસોની વસ્તીવાળા ગામમાં રહીને એમણે સાત હજાર મહિલાઓનાં ઑપરેશન કરાવ્યાં છે. આ બધું કરવાનું કારણ શું ? એનું કારણ ‘અધા’ના હુલામણા નામે પંકાતા અને પોંખાતા લીલાધર ગડા કચ્છ અને ગુજરાત તો ખરું, પરંતુ ભારત પણ એમની સેવાથી અજાણ્યું નથી. ધર્મ, સમાજ કે સંપ્રદાયના સંકીર્ણ દાયરામાં રહેવાને બદલે વિશાળ માનવસમાજની એ અહર્નિશ ચિંતા કરે છે. એમાં પણ સૌથી વધારે ચિંતા તો ત્યજાયેલાં, ઉપેક્ષિતો, તકવંચિતો, સાવ છેવાડાના લોકો અને સાંપ્રદાયિક વેર-ઝેરનો ભોગ બનેલાઓ વચ્ચે એમની કરુણા સતત વહેતી રહે છે.
આમ તો એમના મનમાં એક વાર એવો સવાલ જાગ્યો કે, ઈશ્વરનું સર્વશ્રેષ્ઠ સર્જન છે મનુષ્ય અને મનુષ્ય સર્વશ્રેષ્ઠ કાલ્પનિક સર્જન છે ઈશ્વર.’ આ ઈશ્વર પછી તે રામ હોય, મહાવીર હોય, જિસસ હોય, અષો જરથુષ્ટ્ર હોય, પણ એ સર્વગુણસંપન્ન છે. હવે જો ઈશ્વર એ માણસનું શ્રેષ્ઠ સર્જન હોય તો પછી માણસે ઈશ્વર થવું જોઈએ.
પોતાના આ પ્રશ્નનો ઉત્તર લીલાધરભાઈને શ્રીમદ્ ભગવદ્ગીતાના અગિયારમા અધ્યાયના એક શ્લોકમાં મળી ગયો. જ્યાં અર્જુન કૃષ્ણ ભગવાનના અવિનાશી સ્વરૂપનું દર્શન કરવા ઇચ્છે છે, ત્યારે ‘શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે કે તારી આ આંખો વડે તું મારું યોગેશ્વરનું સ્વરૂપ જોઈ નહીં શકે. હું તને દિવ્યચક્ષુઓ આપું છું, તે વડે તું મારા ઈશ્વરીય યોગેશ્વર સ્વરૂપને નિહાળી શકશે.’
આવા દિવ્યચક્ષુની ખોજમાં અધા નીકળે છે અને 1975ના જાન્યુઆરીમાં યોજાયેલા એક નેત્રયજ્ઞ સમયે સંતપુરુષ ડૉ. શિવાનંદ અધ્વર્યુની સાથે આંખના સર્જન ડૉક્ટરો શિબિરમાં સેવાકાર્ય માટે આવવાના હતા. આ સમયે સહુ સ્વયંસેવકો સાથે અધા દર્દીઓના તંબુમાં બૅનર લગાડતા હતા, ત્યારે એક બૅનર પર એમની નજર ગઈ. એ બૅનર પર લખાયેલું હતું, ‘જે બીજાને દૃષ્ટિ આપે છે તેના અંતઃચક્ષુ ખૂલે છે, તેને દિવ્યદૃષ્ટિ પ્રાપ્ત થાય છે.’ અધાને શ્રીમદ્ ભગવદ્ગીતાનો અગિયારમો શ્લોક યાદ આવી ગયો અને વિચાર્યું કે આ તે કેવું કે આ કામ કરવાથી દિવ્યદૃષ્ટિ પ્રાપ્ત થાય અને ઈશ્વરનાં દર્શન થાય.
એમ તે કંઈ નેત્રચિકિત્સા કરવાથી ભીતરનાં ચક્ષુ ખૂલે ખરાં ? બીજાને દૃષ્ટિ મળે, પણ એનાથી આપણી આંખોને કેવી રીતે ભીતરનાં અજવાળાં મળે ? આથી જેમ અર્જુને કૃષ્ણને પોતાનો સંશય કહ્યો હતો તે રીતે અધાએ શિવાનંદ અધ્વર્યુ બાપુજીને પ્રશ્ન કર્યો કે, ‘આપણે નેત્રયજ્ઞનું કાર્ય કરીએ, એમાં આપણાં દિવ્યચક્ષુ, અંતઃચક્ષુ કઈ રીતે ખૂલી જાય ? જો એ રીતે કામ કરવાથી ખૂલતાં હોય, તો આપણે સહુ કોઈ આવાં અંતરચક્ષુ ઇચ્છીએ છીએ.’
આ પ્રસંગે સંતપુરુષ ડૉ. શિવાનંદ અધ્વર્યુએ એટલું જ કહ્યું કે, ‘અધા, એક વાર કામ શરૂ કરો, પછી તમે મારી પાસે આવો પ્રશ્ન કરવા આવશો નહીં. પહેલા કોઈકને દૃષ્ટિ આપવાનું કામ કરો. આપણે મોતીબિંદુનું ઑપરેશન કરીએ અને મોતિયો કાઢી લઈએ એ તો સ્થૂળ ઘટના થઈ, પણ એની પાછળનો આધ્યાત્મિક ભાવ તો એ છે કે તમે બીજાને દૃષ્ટિ આપો છો, જેથી તમારાં અંતઃચક્ષુ ખૂલી જશે.’
કચ્છના નલિયા ગામનાં ઓપીડી સેન્ટરમાં ડૉ. અજયપાલસિંઘ એક દર્દીને તપાસતા હતા અને એની બાજુમાં દર્દીની તપાસણીના ટેબલ પાસે નલિયા ગામનો એક સ્વયંસેવક વ્હાઇટ ઍન્ડ વ્હાઇટ કપડાં, હાથમાં કડું, ગળામાં સોનાની ચેન અને આંગળીમાં ત્રણ વીંટી પહેરીને ઊભો હતો. સામાન્ય ભાષામાં જેને ભાઈલોગ કહે છે એવી એ વ્યક્તિ હતી. ડૉ. સિંઘસાહેબે એક યુવાન બહેનની આંખો તપાસી અને કહ્યું કે, ‘અધા, એમને રાજકોટ મોકલાવીએ અને એમને નવી કીકી બેસાડી આપીશું. એમનો કોર્નિયા બદલવાથી દૃષ્ટિ મળવાના ઊજળા સંજોગો છે.’
વીરનગરમાં ઑપરેશન તો વિનામૂલ્યે થતું હતું, પણ અહીંથી વીરનગર જવા-આવવાનો અને રહેવાનો બધો ખર્ચો સહેજે હજાર રૂપિયા જેટલો થાય. અધા કંઈ ઉત્તર આપે તે પહેલાં પેલા ભાઈલોગ જેવા દેખાતા માણસે ખિસ્સામાંથી નોટોનું બંડલ કાઢ્યું અને એમાંથી પાંચસો રૂપિયાની બે નોટ આપી. અધાએ કહ્યું, ‘ભાઈ, એમને છૂટા આપો તો વધુ સરળતા પડશે.’ એણે ખિસ્સામાંથી નોટોનું બીજું બંડલ કાઢ્યું અને એકસો રૂપિયાની દસ નોટો આપી દીધી.
એ પછી સહુ જમવા બેઠાં, ત્યારે નલિયાના ગ્રામજનોએ અધાનો ઉધડો લીધો કે તમે આ શું કામ કર્યું ? આ માણસ તો ડામીસ માણસ છે, બે નંબરના ધંધા કરે છે, દાણચોરી, હેરાફેરી જેવાં કામો કરે છે. એની પાસેથી કેમ પૈસા લીધા ? અમે એ ૨કમ આપત.
અધાએ કહ્યું, ‘એમને હું ઓળખતો નહોતો. ડૉક્ટરસાહેબે કહ્યું ને એમણે તરત આપી દીધા. હવે લેવાઈ ગયા છે, તો પાછા ન દેવાય. એટલે જે થયું છે તે ભૂલી જાવ.’
આ વાતને બે વર્ષ વીતી ગયાં. બે વર્ષ પછી ફરી નલિયામાં નેત્રશિબિર થઈ. ડૉ. અજયપાલસિંઘ દર્દીઓને તપાસતા હતા. સ્વયંસેવક તરીકે એક ભાઈ ઊભા હતા. સફેદ કફની, લેંઘો અને ગળામાં રુદ્રાક્ષની માળા સાથે સાવ સાદા કપડાંમાં. ઓપીડી પૂરી થઈ એટલે એમણે કહ્યું, ‘અધા, મારે ઘેર પધારો.’
બીજે ગામ જવાની ઉતાવળ હતી, તેમ છતાં અધાનાં પત્નીએ કહ્યું અને એ ભાઈને ઘેર જવાનું સ્વીકાર્યું. રસ્તામાં એ ભાઈએ પૂછ્યું, ‘અધા મને ઓળખ્યો ?’
અધાએ નકારમાં માથું હલાવ્યું.
તો એણે કહ્યું કે, ‘બે વર્ષ પહેલાં પેલી બાઈને વીરનગર જવા માટે એક હજાર રૂપિયા આપનાર હું જ હતો.’ અધાને યાદ આવ્યું કે એ સમયે તો હાથમાં વીંટીઓ હતી, મોંઘી ઘડિયાળ હતી અને ભારે ઠાઠમાઠ હતો અને આજે તો સાવ સાદા. આવું કેમ ? ક્યાં ભાઈલોગની છાપ અને ક્યાં આ ધર્મનિષ્ઠ લાગતો માણસ !
અધા એમને ત્યાં પહોંચ્યા. ત્યારે એ ભાઈનાં પત્નીએ કહ્યું કે, ‘અધા, આપે એક ઉત્તમ કામ કર્યું છે. એમણે પેલી બહેનના ઑપરેશન માટે હજાર રૂપિયા આપ્યા હતા. ઑપરેશન કરીને એ બહેન પાછી આવી. એને આંખે સરસ દેખાવા લાગ્યું એટલે એની માએ આવીને કહ્યું, ‘ભાઈ, મને તમારો ફોટો આપો. મારે ઠાકોરજીની મૂર્તિ સાથે તમારો ફોટો રાખવો છે. તમે તે દિવસે મદદ કરી, જેથી મારી દીકરીને નજર આવી ગઈ. એ દિવસથી હું માનું છું કે તમે મારા ઇષ્ટદેવ અને તમે મારા ભગવાન.’
ઘટના તો સાવ નાની હતી, પણ આ એક હજાર રૂપિયાનો ઝટકો એવો લાગ્યો કે, કોઈક વ્યક્તિ મારામાં ઈશ્વરનાં દર્શન કરે અને હું આ બે નંબરનાં ધંધા કરું ? બધાં ખોટાં કામ કરું ?’ દાણચોરી ને હેરાફેરી કરું.’ અને તે દિવસે એમણે મને પાસે બેસાડીને કહ્યું કે, ‘હવે હું આ બધું છોડી દેવા માંગું છું, કારણ કે કોઈએ મારામાં ઈશ્વરનાં દર્શન કર્યાં. હવે હું મારામાં રહેલા ઈશ્વરને શોધવાની કોશિશ કરીશ. ખબર નથી કે એ ઘડી ક્યારે આવશે ? પણ મારે મારામાં રહેલા ઈશ્વરનાં દર્શન કરવાં હોય, તો આ બધું છોડી દેવું જોઈએ.’
એમની પત્નીએ કહ્યું કે, ‘અમારા જીવનમાં સુખ જ સુખ છે.’ આ ઘટનાને બે-ત્રણ વર્ષ નીકળી ગયાં. ફરી અધા નલિયા ગયા, ત્યારે એમણે એ ભાઈની તપાસ કરી તો જાણવા મળ્યું કે એમની પત્નીનું અવસાન થયા પછી એ સાધુ બની ગયા. છેલ્લાં વર્ષોમાં સાત્ત્વિક જીવન જીવતા હતા. જીવનમાં સાદગી અને સંયમને અપનાવી લીધાં હતાં. એ પછી સઘળું વેચીને ભગવાં કપડાં પહેરીને નીકળી ગયા અને કહ્યું કે, ‘મારે ઈશ્વરની શોધ કરવી છે, કારણ કે હું મારામાં એને જોવાની કોશિશ કરું છું.’ આ વાતને દસેક વર્ષ વીતી ગયાં. એક દિવસ હરિદ્વારથી એક પોસ્ટકાર્ડ આવે છે અને પોસ્ટકાર્ડમાં લખ્યું હોય છે કે, ‘તમે મને ભૂલી ગયા હશો, પણ હું તમને ભૂલ્યો નથી. એ દિવસે તમે મારા ખોટા રૂપિયાને સવા રૂપિયા સાચો કર્યો. હવે સાત્ત્વિક જીવન જીવીને હું એક જુદા રસ્તે નીકળી શક્યો અને મારામાં રહેલા ઈશ્વરના અંશને શોધું છું. કદાચ એ પરમનો સ્પર્શ મળી જાય.’
અધાએ આ પોસ્ટકાર્ડ વાંચ્યો અને મનમાં પેલું બૅનર અને સંતપુરુષ ડૉ. શિવાનંદજીના શબ્દો યાદ આવે છે, ‘જે બીજાને દૃષ્ટિ આપે છે, તેનાં અંતઃચક્ષુ ખૂલે છે ને તેને દિવ્યદૃષ્ટિ પ્રાપ્ત થાય છે.’ લીલાધર માણેક ગડા ‘અધા’એ વાત પૂરી કરી અને એ પછી ભદ્રેશ્વર તીર્થમાં પાર્થ ચંદ્રસૂરિદાદાની અને ઉપાધ્યાય ભુવનચંદ્રજી મહારાજની નિશ્રામાં સાહિત્યપ્રેમી, સૌજન્યમૂર્તિ અને અધ્યાત્મપરાયણ પ્રા. રમજાન હસણિયા પાસેથી ઘણા પ્રેરક પ્રસંગો સાંભળીને મન પ્રસન્ન થઈ ગયું.
ઈંટ અને ઇમારત
18-4-2024