વિદેશમાં અદ્‌ભુત નામના અને ચાહના

શ્રી કુમારપાળભાઈની સાથે છેલ્લાં પંદર વર્ષોથી મારે ઘણો સારો સંબંધ છે. મારે સને ૧૯૯૧માં જ્યારે પ્રથમ વાર અમેરિકા જવાનું થયું ત્યારે તેઓ તરફથી મને બધા જ પ્રકારનો સહયોગ મળેલો. અને આ જ મારું તેઓની સાથે પ્રથમ મિલન હતું. પ્રથમ મેળાપમાં જ તેમની પરોપકાર-પરાયણતા, મિલનસાર સ્વભાવ, કંઈક કરી છૂટવાની ભાવના ઇત્યાદિ અનેક ગુણો દેખાયા.

તેમણે જે જે પુસ્તકો લખ્યાં છે, તેની નામાવલી પણ એક નવા પુસ્તકપ્રમાણ થાય તેમ છે. એકેએક પુસ્તકોમાં સામાજિક, કૌટુંબિક, રાજકીય, ધાર્મિક અને સાંપ્રદાયિક વિષયોની વિશાળ છણાવટ આલેખીને તેમાં તેઓની અદ્ભુત લેખન અને રચનાશક્તિનાં દર્શન થાય છે. તેઓના પિતાશ્રી ‘જયભિખ્ખુ' સાહિત્યના ઉત્તમ લેખક જરૂર હતા, પરંતુ શ્રી કુમારપાળ દેસાઈ તો અનેક ક્ષેત્ર વિદ્વત્તા સૂચક કાર્ય કરનારા બન્યા છે. તેથી બાપ કરતાં ‘બેટા સવાયા’ની લોકોક્તિને તેઓએ સાર્થક કરી છે. કોઈ ક્ષેત્ર એવું નહીં હોય કે જેમાં શ્રી કુમારપાળ દેસાઈની સેવાનું પ્રદાન ન હોય.
અમેરિકા-કૅનેડા અને ઇંગ્લૅન્ડ આદિ વિદેશોમાં ઘણી વાર એકાએક જ તેઓ મળી જાય. વિદેશોમાં તેઓનું ઘણું જ માન-સન્માન છે. જૈન ધર્મનાં ઘણાં કાર્યો તેઓ દ્વારા થયાં છે અને થાય છે. વિદેશમાં રહેતા જૈન ધર્મના મુખ્ય આગેવાન કાર્યકર્તાઓને તો ભારતમાં કંઈ પણ ધાર્મિક કાર્ય કરાવવું હોય તો ભારત ખાતે એક કુમારપાળભાઈ દેસાઈમાં નિઃસ્વાર્થ સંપૂર્ણ સેવા આપનાર દેખાય છે અને તેઓ દ્વારા ઘણાં કાર્યો થયાં છે. લૉસ ઍન્જલસમાં રહેતા ડૉ. મણિભાઈ મહેતા અને લંડનમાં રહેતા શ્રી નેમુભાઈ ચંદરયા માટે તો એમ કહી શકાય કે શ્રી કુમારપાળ દેસાઈ એ એમના ભારતમાં વસતા મિત્ર અને માર્ગદર્શક હોય, તેવો પ્રેમ અને વિશ્વાસ શ્રી કુમારપાળભાઈએ જીત્યા છે.

સિંગાપોર, હૉંગકૉંગ, બૅંગકોક, નાઇરોબી, મોમ્બાસા – આ બધાં શહેરોમાં શ્રી કુમારપાળભાઈ દેસાઈએ અનુપમ પ્રતિભા પાથરી છે. તેઓનું પ્રવચન જે એક વાર સાંભળે, તે બીજી વાર તેઓના આગમનની પૂરેપૂરી પ્રતીક્ષા રાખે જ. એન્ટવર્પમાં પર્યુષણપર્વની આરાધના કરાવી અદ્ભુત નામના પ્રાપ્ત કરી છે. લંડન અને અમેરિકા તો તેઓનું પોતાનું જાણે ઘર જ હોય તેટલો એમણે એમનાં વક્તવ્યોથી અવર્ણનીય પ્રેમ પ્રાપ્ત કર્યો છે. ન્યૂયોર્ક, ન્યૂજર્સી, લૉસએન્જલસ, હ્યુસ્ટન, સિંગાપોર, લંડન જેવાં અનેક શહેરોમાં પર્યુષણપર્વની આરાધના કરાવવા દ્વારા અને બીજાં કેટલાંક શહેરોમાં સુંદર પ્રવચનો દ્વારા જૈન દર્શનના સમ્યક્ જ્ઞાનનું દાન કર્યું છે. જૈન ધર્મનો પ્રચાર અને પ્રસાર વધારે કેમ થાય ! તેનું લક્ષ્ય રાખીને અનેક દેશોમાં એમણે પ્રવાસો કર્યા છે. આમ, શ્રી કુમારપાળભાઈ દેસાઈએ વિદેશમાં સુંદર નામના અને અપાર ચાહના પ્રાપ્ત કરી છે. આંતરરાષ્ટ્રીય કામગીરી, અહિંસાના પ્રચારની કામગીરી, શાકાહારના પ્રચારની કામગીરી અને અનેક સામાજિક કાર્યો વગેરેમાં ઘણો મહત્ત્વનો ફાળો આપેલ છે.

અત્યાર સુધીમાં ૨૮ સંસ્થાઓમાં પ્રમુખ-મંત્રી, સહમંત્રી, ખજાનચી વગેરે હોદ્દાઓ ઉપર રહીને સારી સેવા બજાવી છે. સર્વ ઠેકાણે સુંદર એવી પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને સંસ્થાઓને સારી કાર્યવાહીવાળી બનાવી છે. સારું કાર્ય કરવા બદલ ઍવૉર્ડ એટલી બધી જગ્યાએથી એટલા બધા મળ્યા છે કે એ ઍવૉર્ડની એક સુંદર હારમાળા બને તેમ છે. ‘હેમચંદ્રાચાર્ય ઍવૉર્ડ',‘જૈન જ્યોતિર્ધર ઍવૉર્ડ’, 'ગુજરાત રત્ન',‘સંસ્કૃતિ-સંવર્ધન ઍવૉર્ડ, `બેસ્ટ સ્પૉર્ટ્સ જર્નાલિસ્ટ ઍવૉર્ડ’ અને ‘પદ્મશ્રી ઍવૉર્ડ’ – આ મુખ્ય ઍવૉર્ડ છે.

શ્રી કુમારપાળ દેસાઈ મારા પરમમિત્ર છે. તેઓ દીર્ઘાયુષી અને સારા સ્વાસ્થ્યવાળા સદા રહે એવી પરમકૃપાળુ પરમાત્માને વિનંતી અને જૈન શાસનની સેવા કરી આત્મકલ્યાણ સાધે એ જ અભિલાષા.

પં. ધીરજલાલ મહેતા

જૈન પંક્તિ, દેશ-વિદેશમાં જૈન દર્શનનાં વ્યાખ્યાનો આપનાર, શાસ્ત્રીય ગ્રંથોનાં લેખક.

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑