એ જમાનામાં દેશ આખામાં રાજનેતા મહમ્મદઅલી ઝીણાનું નામ ગાજતું હતું. એમણે મુસ્લિમો માટે અલગ દેશની માગણી કરીને દેશમાં નવો વિવાદ ખડો કર્યો હતો. આને પરિણામે આઝાદીનાં અજવાળાંનો અનુભવ થાય, તે પહેલાં દેશની પ્રજાને વિવાદ, વિખવાદ અને વૈમનસ્યનો ભોગ બનવું પડ્યું. ભાઈચારાભરી દોસ્તીને બદલે વેરઝેરની આગ સળગવા લાગી. ભારત અને પાકિસ્તાનની ભેદરેખા દોરાવા માંડી. એ સમયે મહમ્મદઅલી ઝીણા ગોંડલ રાજ્યના ઉપલેટા પાસેના પાનેલી ગામમાં જઈ રહ્યા હતા. આ એમનું જન્મસ્થળ હતું, તેથી તેઓ અવારનવાર ટ્રેન મારફતે પોતાના માદરેવતનની મુલાકાતે આવતા હતા.
એ સમયે સૌરાષ્ટ્રના ગોંડલ રાજ્યના મહારાજા ભગવતસિંહજી એક નેકદિલ અને પ્રજાપ્રેમી રાજવી હતા. એમને રાત-દિવસ ગોંડલ રાજ્યની આબાદીના વિચારો આવતા હતા અને એને આકાર આપતા હતા. યુરોપના પ્રવાસે ગયા, ત્યારે એમણે એ દેશોની પ્રગતિ જોઈને નક્કી કર્યું કે મારે મારા રાજમાં પણ આવાં વિકાસ કાર્યો કરવાં છે. 1884ની 25મી ઑગસ્ટે 18 વર્ષની વયે તેઓનો રાજ્યાભિષેક થયો અને એ જમાનામાં રાજવીઓ પોતાના મોજશોખમાં ડૂબેલા હતા. કાવાદાવામાં ખૂંપેલા હતા. અંગ્રેજ સરકારની રહેમ પર જીવવામાં ઇતિશ્રી માનતા હતા ! પ્રજાની કોઈને કશી પરવા નહોતી અને અંધેર વહીવટ અને અનાચારને કારણે રૈયત રિબાતી હતી. મનસ્વી રાજાઓનો પ્રજાને ભારે ત્રાસ હતો. આવે સમયે અઢાર વર્ષના ભગવતસિંહજીએ પોતાના રાજ્યાભિષેક સમયે પ્રજાને પોતાના અંતરની અભિલાષા કરતાં કહ્યું કે તેઓ એવું રાજ્ય સ્થાપવા માગે છે કે,
‘જ્યાં સર્વત્ર ન્યાય, નીતિ અને વ્યવસ્થા હોય. પ્રજાજીવન અને તેની સાધનસંપત્તિનું રાજ્ય દ્વારા યથાયોગ્ય રક્ષણ થતું હોય. ધરતીના છોરુ ખેડૂતોને એમની મહેનતનું પૂરું વળતર મળવું જોઈએ. એમના પસીનાનું શોષણ થવું જોઈએ નહીં. વેપાર-ઉદ્યોગ ખીલે અને વેપારીઓ યોગ્ય નફો મેળવીને પોતાનો વેપાર વિકસાવે અને રાજની આબાદી વધારે. પ્રજાનો વ્યવહાર સરળતાથી ચાલે તે માટે રસ્તાઓ સુધારવા. કેળવણીને ઉત્તેજન આપવું તથા નિરાધાર અને દર્દીઓને રાહત મળે તેવા પ્રયત્નો કરવા.’
આવી ભાવના ધરાવતા મહારાજા ભગવતસિંહજી રાજકીય બાબતોમાં સ્પષ્ટ નીતિ અને મક્કમ મન ધરાવતા હતા અને કોઈનાથીય અંજાઈને સત્ય, સિદ્ધાંત કે રાષ્ટ્રપ્રેમની બાબતમાં સહેજે નમતું જોખવામાં માનતા નહોતા. હવે બન્યું એવું કે મહમ્મદઅલી ઝીણા ફરી એક વાર પોતાના વતન પાનેરી જઈ રહ્યા હતા. એ સમયે ટ્રેનનો સઘળો કારોબાર ગોંડલ રાજ્ય સંભાળતું હતું. ગોંડલ શહેરની નજીક આવેલા રીબડા રેલવે-સ્ટેશને રાજ્યમાં પ્રવેશતા પ્રવાસીઓના દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવતી. એ મુસાફર ક્યાંથી આવે છે અને ક્યાં જઈ રહ્યો છે, તેની નોંધ થતી. કયા દેશી રાજ્યમાં આવે છે અને ક્યાં જાય છે એની જાણકારી મેળવવામાં આવતી, પરંતુ આ બધાની સાથોસાથ એ પણ ચકાસવામાં આવતું કે એ કયા દેશનું નાગરિકત્વ ધરાવે છે. પોતાના માદરેવતન પાનેલી જવા નીકળેલા મહમ્મદઅલી ઝીણા રીબડા સ્ટેશને આવ્યા. રાજ્યના નિયમ અનુસાર એમની પૂછપરછ કરવામાં આવી. આખા હિંદુસ્તાનને જેણે માથે લીધું હોય, તે કોઈ પોતાની આવી પૂછપરછ કરે, તે ક્યાંથી પસંદ પડે ?
રાજ્યના અધિકારીએ એમની પાસે નાગરિકત્વ અંગેનો દસ્તાવેજ માગ્યો. પાસપૉર્ટ જોઈને અધિકારી થોડો સમય વિચારમાં પડી ગયો, કારણ કે મહમ્મદઅલી ઝીણા પાકિસ્તાનનો પાસપૉર્ટ ધરાવતા હતા. રાજ્યના તપાસ અધિકારીને થયું કે હવે કરવું શું ? પરાયા દેશના નાગરિકને આવી રીતે રાજ્યમાં પ્રવેશવાની મંજૂરી આપી શકાય ખરી ? થોડીક ક્ષણો સુધી એ અધિકારી વિચારમાં ડૂબી ગયો. મહમ્મદઅલી ઝીણાએ એના તરફ કરડાકીભરી નજર કરી. હવે કરવું શું ? અંતે અધિકારીએ મહારાજા ભગવતસિંહજીને આની જાણ કરવી અને એમને માર્ગદર્શન આપવા વિનંતી કરી.
અધિકારીએ ટેલિફોન કરીને મહારાજા ભગવતસિંહજીને સઘળી વિગતો જણાવી. મહારાજા ભગવતસિંહજીએ તત્કાળ પોતાના રાજકર્મચારીને બોલાવ્યા અને કહ્યું કે, ‘મારો આ સંદેશો લઈને તમે ઝીણાને રૂબરૂ મળો.’
સંદેશમાં મહારાજાએ લખ્યું હતું, ‘મિસ્ટર મહમ્મદઅલી ઝીણા, પહેલી વાત એ સ્પષ્ટ કરો કે દુનિયાના નકશામાં પાકિસ્તાન જેવા દેશનું અસ્તિત્વ નથી તેનું શું ? જો તમે પોતે હિન્દુસ્તાનના નાગરિક છો, તેમ કહેશો તે પછી જ તમને તમારા વતન પાનેલીની મુલાકાતે જવાની મંજૂરી અપાશે.’
મહારાજાનો સંદેશો રાજ્યના રેલવેઅધિકારીને પહોંચ્યો. એમણે એ સંદેશો મહમ્મદઅલી ઝીણાને આપ્યો.
મુસ્લિમો માટે અલગ દેશની માગણી કરનાર મહમ્મદઅલી ઝીણા આ વાતનો સ્વીકાર કરે ખરા ? એમણે કહ્યું કે ગમે તે થશે, તોપણ હું હિન્દુસ્તાનનો નાગરિક છું એવું લખાણ લખી આપીશ નહીં.
રાજકર્મચારીએ મહારાજા ભગવતસિંહજીને મહમ્મદઅલી ઝીણાના નિર્ણયની જાણ કરી. તેઓ આ બાબતમાં મક્કમ છે, તેમ પણ જણાવ્યું. એ સમયે ગોંડલ રાજ્યમાં અને દેશમાં મહમ્મદઅલી ઝીણાના ઘણા ટેકેદારો હતા. જો એમને નાપસંદ થાય એવું કશું થાય, તો તેઓ ગંભીર સમસ્યા ઊભી કરી શકે તેમ હતા. વાદ, વિવાદ કે તોફાન થાય, તેવી શક્યતા હતી.
પણ મહારાજા સદાય સત્યની પડખે રહેનારા હતા. ભય એમના પર કોઈ ભીંસ જમાવી શકતો નહીં. એમણે પાકિસ્તાનના નાગરિક શ્રી મહમ્મદઅલી ઝીણાને રીબડાથી જ પાછા ફરવાનો હુકમ કર્યો. મહમ્મદઅલી ઝીણા મહારાજાની મક્કમતા જાણતા હતા. એમની સામે માથું ઊંચકી શકે તેમ નહોતા, એથી એમને પોતાના વતન પાનેલીની મુલાકાત લીધા વગર જ પાછા જવું પડ્યું.
આવા ગોંડલના મહારાજા ભગવતસિંહજી કવિઓ અને સાહિત્યકારો પર અગાધ આદર ધરાવતા હતા. એમના સાહિત્યપ્રેમની અને ‘ભગવદ્ ગો મંડળ’ના સર્જક તરીકેની પ્રશંસા સાંભળીને કવિવર રવીન્દ્રનાથ ટાગોર શાંતિનિકેતનને માટે આર્થિક સહયોગ મેળવવાની ઇચ્છાથી ગોંડલ રાજ્યમાં આવ્યા.
સાવ નાની વયથી પુસ્તકોની સૃષ્ટિ માણનારા મહારાજાને કવિવર પોતાના રાજમાં પધારે તેનો અપાર આનંદ હતો. અતિ ભાવ અને આદરથી કવિવરનું સ્વાગત કર્યું. એમની મધુર વાણી સાંભળી. આતિથ્યમાં કશી મણા ન આવે તેનું અંગત ધ્યાન રાખ્યું.
કવિવર રવીન્દ્રનાથ ટાગોર ગોંડલમાં થોડા દિવસ રોકાયા. મહારાજા સાથે ઘણી વાત થઈ, પણ મહારાજાએ શાંતિનિકેતનને આર્થિક સહયોગ આપવા વિશે એક શબ્દ પણ ઉચ્ચાર્યો નહીં. કવિવર રવીન્દ્રનાથ ટાગોરને એમ હતું કે આવા કેળવણીપ્રેમી મહારાજા સામે ચાલીને મદદ કરશે, તેને બદલે મદદ વિશે એમણે એક હરફ પણ ઉચ્ચાર્યો નહીં. કવિને પારાવાર આશ્ચર્ય થયું. માંગ્યા વિના ફાળો મળી રહેશે એવી એમની આશા પર પાણી ફરી વળ્યું.
થોડો સમય ગોંડલ રોકાઈને કવિવર શાંતિનિકેતન પાછા ફર્યા. એવામાં એમને જાણ થઈ કે મહારાજા ભગવતસિંહજી શાંતિનિકેતન આવે છે. કવિવરે ભાવપૂર્વક એમનું સ્વાગત કર્યું. મહારાજા ભગવતસિંહજીએ શાંતિનિકેતન માટે મોટી રકમ કવિના ચરણે અર્પણ કરી.
કવિવરને અચંબો એ વાતનો થયો કે પોતે સ્વયં ગોંડલ ગયા ત્યારે કશી આર્થિક મદદ ન કરી અને તે મદદ આપવા માટે છેક શાંતિનિકેતન સુધી આવ્યા.
જિજ્ઞાસાવશ કવિવર રવીન્દ્રનાથ ટાગોરે પૂછ્યું, ‘હું ગોંડલ રોકાયો ત્યારે આપે મને ફાળો કેમ ન આપ્યો અને હવે ફાળો આપવા છેક અહીં આવવા સુધીનો ખાસ શ્રમ શા માટે લીધો ? તમે મને ગોંડલમાં આપી શક્યા હોત.’
મહારાજા ભગવતસિંહજીએ કવિવરને વિનયપૂર્વક કહ્યું, ‘આપના જેવા મહાન કવિ ફાળો માગે અને તે હું આપું એ તો આપનું અપમાન ગણાય.’
કવિવરે કહ્યું, ‘એમાં અપમાન શું ? તમારા જેવા કેળવણીપ્રેમી માટે તમે ફાળો આપો એ સાહજિક હતું.’
મહારાજાએ કહ્યું, ‘કવિવર, ફાળો લેવા આપે આવવાનું ન હોય. બલ્કે મારા જેવા ફાળો આપનારે આવવાનું હોય અને અહીં શાંતિનિકેતન આવીને આપનાં દર્શન કરવાનાં હોય.’ કવિવર રવીન્દ્રનાથ ટાગોર મહારાજા ભગવતસિંહજીની આવી ભાવના જોઈને ગદ્ગદિત થઈ ગયા.
પારિજાતનો પરિસંવાદ
13-4-2025