દાઝ્યો નથી ને !

ગણિતશાસ્ત્ર અને ભૌતિકશાસ્ત્રના અનેક નિયમો, સિદ્ધાંતો અને સૂત્રો જેના નામ સાથે સંકળાયેલાં છે એવા સર આઇઝેક ન્યૂટન (ઈ.સ. 1942થી ઈ.સ. 1727) કલનશાસ્ત્ર (કૅલ્ક્યુલર), ગુરુત્વાકર્ષણનો નિયમ તેમજ પ્રકાશશાસ્ત્રને લગતાં સંશોધનો માટે પ્રસિદ્ધ છે. ન્યૂટને કેમ્બ્રિજની ટ્રિનિટી કૉલેજમાં અભ્યાસકાળ દરમિયાન કોપરનિક્સ, ગૅલિલિયો, કેપ્લર, દકાર્ત જેવા મહાન વૈજ્ઞાનિકોનાં પુસ્તકોનો ગહન અભ્યાસ કર્યો. આઇઝેક ન્યૂટનના નામ સાથે ગણિતશાસ્ત્ર અને ભૌતિકશાસ્ત્રનાં અનેક નિયમો, સિદ્ધાંતો, સૂત્રો, ઘટનાઓ જોડાયેલાં છે.

નવા વૈજ્ઞાનિક યુગના નિર્માતા તરીકે ઓળખાતા આઇઝેક ન્યૂટને ઈ. સ. 1775ની શરૂઆતમાં દ્વિપદી પ્રમેયના મહત્ત્વના નિયમનું સંશોધન કરી એનો વ્યાપક ઉપયોગ કર્યો. જે દ્વિપદી પ્રમેય એની કબર પર કોતરવામાં આવ્યું છે.

ભૌતિકશાસ્ત્રી અને ગણિતશાસ્ત્રી ન્યૂટન વિજ્ઞાનના કેટલાય સિદ્ધાંતો વિશેની પોતાની નોંધ એક નોટબુકમાં વખતોવખત લખતા જતા હતા. એક વાર સંધ્યાના સમયે સર આઇઝેક ન્યૂટન પ્રયોગકાર્યમાં વ્યસ્ત હતા, ત્યારે એમનો કૂતરો એકાએક ધસી આવ્યો.

એ કૂતરાએ સામે બિલાડીને જોઈને એને પકડવા માટે છલાંગ લગાવી અને એમ કરવા જતાં ટેબલ પર પડેલો લૅમ્પ અચાનક પડી ગયો. સંશોધનની નોંધોના કાગળો સળગવા લાગ્યા અને ન્યૂટનની કેટલાંય વર્ષોની મહેનત આગમાં ભસ્મીભૂત થઈ ગઈ.

પોતાના સંશોધનકાર્યની હાથનોંધ સળગતી જોઈ રહ્યા અને માત્ર એટલું બોલ્યા, “અરે ! તેં મારી કેટલાય દિવસના પરિશ્રમ પછી તૈયાર કરેલી હાથનોંધને બાળી નાખી.”

સામાન્ય માનવી આવા સંજોગોમાં કૂતરાને સખત માર મારે, જ્યારે આઇઝેક ન્યૂટને પોતાના કૂતરાને નજીક બોલાવ્યો, એના પર હાથ ફેરવ્યો અને જોયું કે ક્યાંય એ દાઝ્યો તો નથી ને !

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑