એક પક્ષની ઉન્નતિ બીજા પક્ષની ઈર્ષાનું કારણ બને છે !

ભૂલશો નહીં કે ગણતંત્ર એ આમ્રવૃક્ષ છે. હજારો બાવળ વચ્ચે એ ઊગે છે.

ગઈકાલનો ઇતિહાસ આવતીકાલનો સંદેશ બને છે. આજે આપણા લોકશાહી દેશમાં ચૂંટણીનાં પડઘમ વાગી રહ્યાં છે, ત્યારે ભૂતકાળના એ ગણતંત્રનું સ્મરણ થાય છે. એનો ઇતિહાસ આજે રસપ્રદ છે અને આવતીકાલને માટે એ માર્ગદર્શક છે.

હકિકતમાં ગણતંત્ર એ આમ્રવૃક્ષ છે. હજારો બાવળ વચ્ચે એ ઊગે છે, ત્યારે પ્રતિસ્પર્ધી એને બાળી નાખવા મથે છે. વળી ગણતંત્રમાં વાવનાર જુદા હોય છે, ને ફળ ખાનાર જુદા હોય છે. રાજા રાજ્યને વધારે અને ખીલવે કારણ કે એનો વારસો એના રાજકુમારને મળવાનો છે. ગણતંત્રમાં તો આજની ઘડી રળિયામણી, કાલ કોણે દીઠી છે ?

આમાં સમજે તો સહુની જવાબદારી. ન સમજે તો કોના બાપની દિવાળી ? જરા, ઇતિહાસનાં પૃષ્ઠો ઉકેલીએ. આજનું બસાઢ એટલે જૂનું વૈશાલી. વૈશાલીનું પંચાયતીરાજ એ ઇતિહાસપ્રસિદ્ધ બીના છે. અહીં પ્રજા રાજાને ચૂંટતી. રાજા પ્રજાના વિશ્વાસને અનુરૂપ કલ્યાણકાર્ય કરતો.

એક દેશની ઉન્નતિ બીજા દેશના તેજોદ્વેષનું કારણ બને છે. એક પક્ષની ઉન્નતિ બીજા પક્ષની ઈર્ષાનું કારણ બને છે. વૈશાલીના ગણતંત્ર પર આજુબાજુનાં રાજ્યો લાલ આંખ કરીને બેઠાં હતાં. એમાંય સામ્રાજ્યવાદમાં માનનાર નરવ્યાઘ્ર મગધપતિ અજાતશત્રુની લાલ આંખ તો સદા એના પર પડેલી જ હતી. એ જાણતો હતો કે, વૈશાલી જીવશે તો મગધમાંથી રાજાનું જડમૂળ નીકળી જશે. જો મગધપતિએ જીવવું હોય તો વૈશાલીના ગણતંત્રનો વિનાશ કર્યે જ છૂટકો !

એકનું જીવન એ બીજાનું ઝેર. એકનું ઝેર એ બીજાનું જીવન.

એક વાર મગધપતિ અજાતશત્રુએ ભરીસભામાં ગર્જના કરતાં કહ્યું : “વૈશાલી ખતરનાક છે. હું એનો એવો વિનાશ કરીશ કે એની ધરતી પર ગધેડાં જોડેલું હળ ફરશે.”

વૈશાલીના વિખ્યાત યોદ્ધાઓને આ વામણા લોકોની ચાંપલાશ લાગી. એના તરફ નજ૨ નાખવાની પણ પરવા ન કરી. જે દિવસે મગધનું સૈન્ય ચડી આવશે, એ દિવસે ચપટીમાં ચોળાઈ જશે. બિચારા મગધના લોકોએ વૈશાલીના લિચ્છવી અને વજ્જિ યોદ્ધાઓ ક્યાં જોયા હતા ?

લિચ્છવી યોદ્ધાઓ લાકડાની પાટ પર અને લાકડાના ઓશીકે સૂતા. વિદ્યાર્થીજીવન દરમિયાન સ્ત્રીનું મોં સુધ્ધાં જોતા નહિ. મા-બાપ નમાલાં બાળકોને જન્મ આપવાનું ઇચ્છતાં નહિ. પૂરી ઊંચાઈવાળા, પુષ્ટ દેહવાળા, તેજસ્વી નેત્ર અને સશક્ત હાથપગવાળા એ મહારથીઓ હતા. સ્વર્ગનાં દેવ-દેવી ભલે ન જોયાં હોય, પણ વૈશાલીનાં આ કુમાર-કુમારિકાને જોયાં હોય તો મન ધરાઈ જાય !

મજબૂત જુવાનોએ વૈશાલીની મહત્તા સ્થાપી. મહત્તામાંથી સત્તા આવી. જુવાનો વધુ સ્વતંત્ર અને શોખીન બનતા હતા. સુંવાળી તળાઈઓમાં અને સુગંધી પલંગોમાં પોઢવા લાગ્યા. પેય-ખાદ્ય પરના પ્રતિબંધો હળવા કર્યા. શક્તિના અભિમાને એમને અશક્તિમાન બનાવ્યા.

પહેલાં ફક્ત શસ્ત્રના ભરોસા પર ભયંકર અટવીઓમાં ચાલ્યા જતા. ખૂનખાર વનચરોનો શિકાર કરતા. આમાં મોતને અને એમને હાથવેંતનું છેટું રહેતું અને આમાંથી એ મૃત્યુંજય સર્જાતા. શોભે તેવું પરાક્રમ કરીને જુવાનીમાં જ સ્વર્ગમાં સંચરી જવું એ એમનો શોખ હતો. બુઢાપો વળી પોતાને શું મારે ?

જે લિચ્છવી કુમારો કઠોર વિદ્યાઓની સાધનામાં રત રહેતા, તેઓ હવે નૃત્યગીત અને સંગીત પાછળ ઘેલા થયા. એથીય આગળ વધીને રાજકર્તાઓ નટ અને નર્તકીઓના શોખીન બન્યા.

નૃત્ય તો કુમાર અને કુમારિકા સાથે હોય ત્યાં સુધી જ જામે ! સૌંદર્યના ઝરણસમી કુમારિકાઓ મેદાને પડી. અગ્નિ ન હોય ત્યાં સુધી ઘી ગરમ કેમ થાય ? સ્ત્રી તો પ્રેરણા છે ! સ્ત્રી પ્રેરણામૂર્તિ બની પુરુષોની ! એના વગર ચેન ન પડે. વિહારમાં એ, ગીતમાં એ, સંગીતમાં એ. સ્વર્ગનું મહત્ત્વ ભુલાઈ ગયું અને વૈશાલી પૃથ્વી પર સ્વર્ગ બની ગયું. સૌંદર્યોપાસના એ વૈશાલીના કુમારોનો, લિચ્છવી યોદ્ધાઓનો અને વજ્જિ શૂરવીરોનો શોખ બની ગયો. હવે એક પરમ સુંદર કન્યા પાછળ પાંચ-પાંચ અને પચીસ-પચીસ લિચ્છવી કુમારો હરીફાઈ કરવા લાગ્યા. સમય અને શૂરવીરતાનો ઉપયોગ સૌંદર્ય મેળવવા માટે થવા લાગ્યો.

આ સૌંદર્યને હસ્તગત કરવા માટે રાત-દિવસ મારામારી થવા લાગી. આખરે વૈશાલીના સંસ્થાગાર(રાજભવન)માં ઠરાવ કરવામાં આવ્યો કે જે કન્યા અતિ રૂપાળી હોય એણે લગ્ન ન કરવાં. લગ્ન થશે તો હરીફ યોદ્ધાઓ પરસ્પર કપાઈ મરશે.

અતિ સૌંદર્યવતી કન્યા નગરવધૂ બને. એને જનપદકલ્યાણીનું બિરુદ મળે. એ પોતાના સૌંદર્યથી, નૃત્યથી, ગીતથી સહુનું મનોરંજન કરે. લોકરંજન એ જ એનો જીવનધર્મ. પતંગિયાં પડીને બળી ન મરે એટલા માટે દીવાની આજુબાજુ દીવાલ ચણી લેવાઈ ! ગણતંત્રમાંય રાજા અને સામંતોનું સંગઠિત જૂથ રહેતું. બહુમતીની તલવાર રાજ કરવા લાગી. માણસ દેશ-ધર્મ ભૂલી પક્ષ-ધર્મની સેવામાં લાગી ગયો. પક્ષ એ જ એનો ભગવાન !

બળવાન જૂથે આ ‘સૌંદર્યરક્ષણ’નો કાયદો પસાર કરાવી દીધો. કેટલીય રૂપવતી કુમારિકાઓ નગ૨વધૂ બની ગઈ. આ જનપદ-કલ્યાણીઓની પૂજા થવા લાગી. ઘરની સ્ત્રી ઘરને ખૂણે બેઠી. જનપદકલ્યાણીમાં આમ્રપાલી અગ્રેસર નીકળી. વૈશાલીનું યૌવન એના પર વારી જવા લાગ્યું. વૈશાલીનું રાજ ગણતંત્રનું. મગધનું રાજ રાજાશાહીનું. રાજાશાહી આ ગણતંત્રની પ્રણાલિકાથી ભયમાં મુકાઈ હતી. વૈશાલીના શિથિલ અને સુંવાળા રાજશાસનનો લાભ લેવાવા માંડ્યો. ગણતંત્રના શત્રુઓ વૈશાલીમાં ઠેર ઠેર અડ્ડા નાખવા લાગ્યા. મગધનો રાજા આમ્રપાલીના ઘરમાં રહ્યો. આમ્રપાલી ગર્ભવતી બની.

નગરમાં નૃત્ય-ગીતનો શોખ બેહદ વધ્યો. સ્ત્રીસૌંદર્યની ઝંખના આપોઆપ જાગી. દેશદેશનાં સૌંદર્ય વૈશાલીમાં આવ્યાં. મગધપતિને ત્યાંથી મગધેશ્વરી નામની રમણીય નારી અહીં આવી. પ્રચંડ નાગોને આ સુંદર નાગણે વશ કર્યા.

મગધેશ્વરી સેવામૂર્તિ બની ગઈ. ધીરે ધીરે વૈશાલીના એક સંત ૫૨ એની મોહિની અસર કરી ગઈ. સંતની સેવા કરીને મગધેશ્વરી વૈશાલીની બની ગઈ. સંત અને સુંદરીની એક ગાંઠ થઈ. મગધેશ્વરી સાધુને લઈને મગધપતિ પાસે ગઈ. આ સમયે મગધનો બ્રાહ્મણ મંત્રી વસકાર વૈશાલીની મુલાકાત લઈને પાછો ફર્યો હતો. એણે કહ્યું : “કુસંપ કરાવ્યા વગર દેવો પણ વૈશાલીનો નાશ કરી શકે તેમ નથી !”

:મગધપતિએ એ કામ સંદેશો લાવનાર બ્રાહ્મણમંત્રી વસ્તકારને સોંપ્યું. મગધના દરબારમાં એક નાટક ભજવાયું. મંત્રી વસકાર પર આરોપ મૂક્યો કે એણે મગધની ખાનગી વાતો વૈશાલીમાં પહોંચાડી છે. એને મગધમાંથી હાંકી કાઢવાનો હુકમ થયો. બ્રાહ્મણમંત્રી વસકાર રોતોકકળતો વૈશાલીના આશરે જઈ રહ્યો. વૈશાલી તો ઉદાર રાજ ! મહાન આદર્શોમાં રાચનારું ! એણે મંત્રીને આશ્રય આપ્યો. વૈશાલીનો એ બની ગયો.

મગધપતિ અજાતશત્રુ સતત વૈશાલીના વિનાશ પાછળ લાગ્યો હતો. એણે જાણ્યું કે, લોકોને પહેલાં શ્રદ્ધાહીન ક૨વા જોઈએ. લોકોને એક સ્તૂપમાં શ્રદ્ધા હતી. એ જ્યાં સુધી અખંડ રહે ત્યાં સુધી કોઈ કશું કરી શકે નહિ. મગધપતિએ એ કામ સાધુને માથે નાખ્યું. સાધુ, બ્રાહ્મણ અને સુંદરીની આ ત્રિપુટીએ જગતના મહાન આદર્શસમા રાજ્યના પાયા પોલા કરવાનું પોતાનું કામ શરૂ કર્યું. લિચ્છવીના લોકો પૈસાના પિપાસુ ન હતા, પણ યશના ભૂખ્યા હતા. ત્રણે જણાએ એકબીજાં પ્રતિસ્પર્ધી જૂથોને મળીને ચડાવવા માંડ્યાં. આમ ભેદ પડતો ચાલ્યો. એમાં કોઈ આગળ વધીને એક કામ કરે તો બીજા એમાં વાંધા કાઢવા લાગે. કામ કરનાર કરતાં વાંધા કાઢનાર વીર ઠર્યા !

ધીરે ધીરે આખા રાજ્યમાં એટલી કડવાશ પ્રસરી ગઈ કે બે માણસો એક રસ્તા પર શાંતિથી ચાલી ન શકે. આ વખતે મગધપતિના બે ભાઈઓ પોતાના ભાઈથી રિસાઈને વૈશાલીના આશ્રયે આવ્યા. વૈશાલી તો પરદુ:ખભંજન રાજ્ય હતું. એણે બંને મગધકુમારોને આશ્રય આપ્યો. મગધપતિએ પોતાના ગુનેગાર પોતાને હવાલે ક૨વા કહ્યું. વૈશાલી હા કહે તો તો તેની કીર્તિને ઝાંખપ લાગે.

મગધપતિ સેના લઈને ચઢી આવ્યો. આ વખતે ખરેખરી તમન્નાથી લડનારાઓમાં અગ્રેસર એક જ હતો – રાષ્ટ્રપતિ ચેટક. એણે જોયું કે વૈશાલીનાં સૈન્યો વિખવાદમાં પડ્યાં છે. રાષ્ટ્રપતિ ચેટકે ઘનઘોર યુદ્ધ ખેલ્યું. આખરે એણે જોયું કે વૈશાલીને બચાવવાનો માર્ગ માત્ર આત્મસમર્પણ જ છે. એણે જળસમાધિ લીધી. વૈશાલીનો મૂર્છિત પ્રાણ જાગી ઊઠ્યો. બધા એક થઈ ગયા, ને યુદ્ધ આરંભ્યું. પણ ઘણું મોડું થયું હતું. વૈશાલી હાર્યું. સંગઠનનો મહિમા મોડો સમજાયો !

ઈંટ અને ઇમારત

2-5-2024

Comments are closed.

Proudly powered by WordPress | Theme: Baskerville 2 by Anders Noren.

Up ↑