જામનગરના રાજવી જામ રણજિતસિંહે ઇંગ્લૅન્ડમાં ક્રિકેટ ખેલીને પોતાના કલા-કસબથી દંતકથા સમી સિદ્ધિ મેળવી હતી. એમના પગલે ચાલીને એમના ભત્રીજા દુલિપસિંહે પણ ઇંગ્લૅન્ડ તરફથી ઑસ્ટ્રેલિયા સામે ખેલીને ક્રિકેટમાં કામયાબી મેળવી હતી. ભારતીય લોહી ધરાવતા આ બે ખેલાડીઓ ભારતની ધરતી પર કોઈ ઉચ્ચ પ્રકારનું ક્રિકેટ ખેલ્યા નહોતા. એ પછી સ્વ. પટૌડીના નવાબ (મનસૂરઅલી ખાન પટૌડીના પિતા) ભારત તરફથી થોડું રમ્યા, પરંતુ ભારતની ધરતી પર વિશેષ કામયાબી મેળવી શક્યા નહીં.
સૌથી મહત્ત્વની વાત તો એ છે કે આ ત્રણેય ખેલાડીઓની રમત પર ઇંગ્લૅન્ડમાં ખેલાતી શિસ્તબદ્ધ અને ક્રિકેટના કોચિંગ મૅન્યુઅલને આધારે ખેલાતી ૨મતનો પ્રભાવ હતો. કારણ કે તેઓ ઇંગ્લૅન્ડમાં ઊછર્યા, એ જ વિદેશી ભૂમિ પ૨ ૨મત ખેલવા માટેનું કૌશલ્ય હાંસલ કર્યું અને ત્યાં જ પોતાની તાકાત પેશ કરી. આથી ભારતીય ક્રિકેટના કોઈ પિતા હોય તો એ સિંહાસનનો મહાન ઑલરાઉન્ડર ને સુકાની સી. કે. નાયડુ સિવાય બીજા કોઈ અધિકારી નથી. એ ભારતની ભૂમિ પર પોતાના ક્રિકેટ-પાઠો આપમેળે અને આપબળે શીખ્યા. એમાં ધરતીની સુવાસ અને એમની હિંમતભરી પ્રકૃતિનો સુમેળ સધાયો અને ત્રણ-ત્રણ દાયકા સુધી આ ભારતીય ક્રિકેટના ભીષ્મપિતામહ સમા કોટ્ટારી કંકૈયા નાયડુએ પોતાના સર્વતોમુખી ક્રિકેટના જાદુથી દેશના ક્રિકેટરસિકો પર કામણ પાથર્યું હતું અને એવી સર્વતોમુખી પ્રતિભા ભારતરત્ન સચિન તેંડુલકર, કપિલ દેવ, મહેન્દ્રસિંહ ધોની કે વિરાટ કોહલી મળ્યા છતાં આ ભૂમિ પર જોવા મળી નથી.
એ જમાનામાં ઊંચા, કદાવર દેહધારી સી. કે. નાયડુ બૅટ ઝુલાવતા મેદાન પર આવતા, ત્યારે સહુનાં હૃદય રોમાંચ અને ઉત્સાહથી પુલકિત થઈ જતાં. નાયડુ રમવા આવી રહ્યા છે, એમ સાંભળીને સેંકડો ૨મતશોખીનો પોતાનું અત્યંત જરૂરી કાર્ય છોડીને ક્રિકેટના મેદાન તરફ દોડી જતા. એ જમાનામાં ઑસ્ટ્રેલિયામાં ડોન બ્રેડમેનનું આવું આકર્ષણ હતું, એવું આકર્ષણ ભારતીય ટેસ્ટ ક્રિકેટના પરોઢના સમયમાં સી. કે. નાયડુએ જમાવ્યું હતું. એ જમાનામાં હજારો માનવીઓને મંત્રમુગ્ધ કરી દેતી નાયડુની બૅટિંગની કેટલીયે કથાઓ અને દંતકથાઓ પ્રચલિત હતી. એમની મોહક રમત નિહાળવા માટે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. રાધાકૃષ્ણન્ ઑક્સફર્ડથી છેક લંડન આવ્યા હતા.
ભારતીય ક્રિકેટના પિતાના જન્મદિવસની જ વાત કરું. 1895ની 31મી ઑક્ટોબરે નાગપુરમાં સી. કે. નાયડુનો જન્મ થયો. જે દિવસે સી. કે. નાયડુનો જન્મ થયો એ જ દિવસે નાગપુરના લાલબાગ મેદાનમાં ‘નાયડુ ક્રિકેટ ઇલેવન’ અને ‘બ્રિટિશ રેજિમેન્ટલ ટીમ’ વચ્ચે મૅચ રમાઈ રહી હતી. મૅચ પૂરી થયા પછી સી. કે. નાયડુના દાદા શ્રી નારાયણ સ્વામી નાયડુ ગરીબોને દાન આપતા હતા. એવામાં કોઈકે કહ્યું, ‘એમને ત્યાં તો પૌત્રજન્મ થયો છે.’ તરત જ બ્રિટિશ ખેલાડીઓએ આનંદના અવસરે પૈસાની માગણી કરી અને ટીમના બધા જ ખેલાડીઓની ઈંટ ચાંદીના સિક્કાથી ભરાઈ ગઈ. સહુએ આશીર્વાદ આપ્યા કે આ બાળક મહાન ખેલાડી બને, દુનિયામાં ભારતનું નામ રોશન કરે. સી. કે. નાયડુ આ પ્રસંગને સંભારીને કહેતા, ‘હું ક્રિકેટની અને એ દ્વારા દેશની જે સેવા કરી શકું છું એ કદાચ આ શુભાશિષનું જ પરિણામ હશે.’
સી. કે. નાયડુની રમતમાં ભારતીય શૈલીની આગવી છાપ જોવા મળતી હતી. એ જમાનામાં ઇંગ્લૅન્ડમાં ક્રિકેટનું વ્યવસ્થિત કોચિંગ આપવામાં આવતું હતું અને ક્રિકેટમાં લખેલી પદ્ધતિ પ્રમાણે ખેલાડી બૉલિંગ, બૅટિંગ કે ફિલ્ડિંગ કરતો હતો. સી. કે. નાયડુના પિતા કૅમ્બ્રિજમાં ભણ્યા હતા. રણજિતસિંહની જાદુઈ બૅટિંગ એમણે જોઈ હતી, પરંતુ સી. કે. નાયડુએ કોઈ આવી ક્રિકેટપોથીમાં આપેલા સિદ્ધાંતો કે શૈલીને બદલે આપ ક્રિકેટકલાનું ઘડતર કર્યું. સી. કે.ની ભારતીયતાની વાત કરું, ત્યારે એમની ધાર્મિકતાનું પણ સ્મરણ થાય છે. તેઓ દશેરાની આગળના નવે દિવસ ધામધૂમપૂર્વક પૂજાપાઠ કરાવતા. દિવાળીના દિવસોમાં લક્ષ્મીપૂજન કરવાનું કદાપિ ચૂકતા નહીં. હંમેશાં અમુક નિશ્ચિત સમય ઈશ્વરભજનમાં ગાળતા હતા. હોળીનો તહેવાર તો તેઓ ભારે ઉત્સાહ અને ઉલ્લાસથી ભજવતા. બે-ત્રણ દિવસ પહેલાં જૂનાં કપડાં તૈયાર રાખતા અને બાળકોની પેઠે એનો આનંદ માણતા. કાલી માતાના તેઓ અનન્ય ભક્ત હતા. એક વાર એમની હોલકરની ટીમ બંગાળ સામે હારી જાય તેવું હતું. ઇંદોરના ક્રિકેટપ્રેમી મહારાજા સ્વયં મૅચ જોવા ઉપસ્થિત હતા, ત્યારે સી. કે. નાયડુએ હીરાલાલ ગાયકવાડ અને અગિયારમા ક્રમે ખેલતા ધનવડેની પાસે આવ્યા અને પછી કાલી માતાએ એમને આપેલી પ્રેરણાભરી હિંમતને પ્રગટ કરતાં કહ્યું, ‘તમે સહેજે નિરાશ ન થશો. તમે ખરેખર ખૂબ ભાગ્યશાળી છો.’ ટીમની દુર્ભાગ્યપૂર્ણ દશા વખતે સુકાનીનાં આવાં વચનો સાંભળીને ગાયકવાડ અને ધનવડે બંને હેબતાઈ ગયા. એમને ચકિત જોઈને સી. કે.એ સ્પષ્ટતા કરતાં કહ્યું,
‘માતા કાલી તમારા પર પ્રસન્ન થયાં છે. એમણે તમને તમારી તાકાત બતાવવાનો મોકો આપ્યો છે. મૅચનો સમય પૂરો થવામાં માત્ર એક કલાકની વાર છે. તમે એટલો સમય પસાર કરી નાખો.’
હકીકતમાં ગાયકવાડ અને ધનવડે બંને એક કલાક સુધી અણનમ રહ્યા અને પ્રથમ દાવમાં વધુ રન કરવાને કારણે સી. કે. નાયડુની હોલ્કરની ટીમ રણજી ટ્રૉફી વિજેતા બની.
નાયડુ સાચા અર્થમાં ક્રિકેટાચાર્ય હતા. સી. એસ. નાયડુ, મુસ્તાક અલી, ચંદુ સરવતે, બાલાસાહેબ જગદાલે અને હીરાલાલ ગાયકવાડ જેવા ઘણા ખેલાડીઓને એમણે પ્રેરણા અને પ્રોત્સાહન આપીને તૈયાર કર્યા. તેઓ વિરોધી ખેલાડીની નબળાઈ તરત પારખી લેતા અને ગોલંદાજોને સલાહ આપીને કીમતી વિકેટ અપાવતા.
એ જમાનાની કલ્પના કરો કે જ્યારે ભારતીય ક્રિકેટ પર રાજવીઓનું પ્રભુત્વ છવાયેલું હતું. હજી ધીરે ધીરે ભારત ટેસ્ટ ક્રિકેટ તરફ જઈ રહ્યું હતું અને આવે સમયે ભારતીય ક્રિકેટને એક નવી આન અને શાન આપવાનું કામ સી. કે. નાયડુએ કર્યું. બૅટ્સમૅન સી. કે. નાયડુ એ જમાનામાં સમર્થ ઑલરાઉન્ડર હતા. તમે બૅટિંગની વાત કરો, બૉલિંગની વાત કરો કે ફિલ્ડિંગની વાત કરો – બધામાં સી. કે. નાયડુ મોખરે હોય અને સૌથી વધુ તો સુકાનીપદની વાત કરો તો એમની રાહબરી હેઠળ એમની કાબેલિયતનો ઑસ્ટ્રેલિયાની મજબૂત ટીમને અને ખુદ ડોન બ્રેડમેનને અનુભવ થયો હતો.
ભારતીય ક્રિકેટરોની ઓછી ઊંચાઈ અને થોડા નબળા બાંધાને કારણે વિદેશના ઊંચા અને તાકાતવર ઝડપી ગોલંદાજો સામે ભારતીય બૅટ્સમૅનો ઝૂકી જતા હતા, ત્યારે સી. કે. નાયડુએ કહ્યું, ‘ઝડપી ગોલંદાજી સામે બૅટિંગ કરવા માટે ઊંચાઈ કે તાકાત કરતાં હિંમત અને નિર્ભયતા વધુ જરૂરી છે.’ અને એને પરિણામે એ જમાનામાં ‘બૉડીલાઇન ગોલંદાજીથી જાણીતો હેરલ્ડ લારવુડ, મહમ્મદ નિસાર, ક્લેરી પ્લિમેટ કે અમરસિંહ જેવા અત્યંત ઝડપી ગોલંદાજો સામે નાયડુ પૂર્ણ આત્મવિશ્વાસ સાથે ખેલતા હતા. એ જમાનામાં ચોગ્ગા અને છગ્ગાની રમઝટ બોલાવનાર જેસપને સહુ યાદ કરતા, ત્યારે સી. કે. નાયડુને ‘ભારતીય જેસપ’નું બિરુદ મળ્યું હતું.
છગ્ગાના તો એ છડીદાર. એમના શૉર્ટ-હૅન્ડલ બૅટ પરથી ધકેલાતો દડો તંબુ કુદાવતો, ધસમસતો અને ફંગોળાતો જોવો એ એક લહાવો હતો.
એમ મનાય છે કે સી. કે. નાયડુએ એમની સમસ્ત કારકિર્દીમાં પ્રથમ કક્ષાની મેચોમાં બસ્સો જેટલા છગ્ગા લગાવ્યા છે ! આ સી. કે. નાયડુને એમના શિષ્ય અને આક્રમક ઓપનિંગ બૅટર મુસ્તાક અલીએ અંજલિ આપતાં કહ્યું હતું કે, ‘તેઓ ક્રિકેટના ઉમરાવ કે રાજા નહીં, પણ શહેનશાહ હતા. એ ક્રિકેટના નેપોલિયન હતા, ક્રિકેટ-ક્રાંતિના જનક અને એના મશાલધારી હતા.’
સી. કે. નાયડુની બૅટિંગ, બૉલિંગ, ફિલ્ડિંગ અને કૅપ્ટનશિપ અંગે હવે પછી વાત કરીશું, ત્યારે ખ્યાલ આવશે કે એમની પ્રેરણાથી ભારતીય ક્રિકેટ એના પ્રારંભે જ ગર્વભેર પોતાનું મસ્તક ઊંચું રાખી શકે એવી ઘટનાઓ સર્જાઈ હતી. ખરો પિતા એ કે જે આખીય રમતનો જનક બનીને અડગ ઊભો હોય !
તા. 18-6-2023
પારિજાતનો પરિસંવાદ